![]()
લોકશાહી પ્રત્યે નિષ્ઠા દર્શાવતા યુવા મતદારો અણીયારી, વિરપુર, મોટા દડવા, વાંકાનેર, ઝાંઝમેર, પેઢલામાં મીંઢોળબંધા વરરાજાનું : જ્યારે જામનગર, ચોટીલા, ચંદ્રપુરમાં શણગાર સજેલી કન્યાઓનું લગ્ન પહેલાં મતદાન
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં લોકશાહીના પર્વમાં મતાધિકારના મહત્વને ઉજાગર કરતા અનેક પ્રેરણાદાયી કિસ્સા જોવા મળ્યા. જીવનના અત્યંત મહત્વના એવા લગ્ન પ્રસંગના વ્યસ્ત સમયગાળા વચ્ચે પણ રાષ્ટ્ર પ્રત્યેની ફરજને સર્વોપરી ગણી પરણવાં જતા પહેલાં મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ વરરાજા તથા નવવધુએ કર્યો હતો.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં મીરા પરમાર નામની યુવતીએ પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગ લગ્ન પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડયું છે. યુવતીએ પોતાના લગ્નના શણગારમાં મતદાન મથક પર પહોંચી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં રહેતી શાહનુર કાસમભાઇ ગઢવારા નામની દીકરીએ પોતાના જીવનના સૌથી મહત્વના દિવસ એટલે કે નિકાહના થોડા સમય પૂર્વે જ મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની પોતાની અતૂટ નિષ્ઠા પ્રદર્શિત કરી છે. લગ્નના પહેરવેશમાં સજ્જ દુલ્હનને મતદાન મથકે જોઇને ત્યાં ઉપસ્થિત અન્ય મતદારો અને ચૂંટણી સ્ટાફમાં પણ આશ્ચર્ય અને આનંદની લાગણી પ્રસરી હતી.ચોટીલા શહેરમાં રહેતા શીતલબા ઝાલાએપોતાના લગ્નની વિધિઓ શરૃ થાય તે પહેલાં મતાધિકારનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. તેઓ લાલ ચુંદડી અને સોળ શણગાર સજીને સીધા મતદાન મથકે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાનો અમૂલ્ય મત આપી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. જેતપુરના ડેડરવા ગામે અવનીબેન દૂધાત્રાએ પોતાના લગ્ન પહેલા મતદાન મથકે જઇ મતદાન કર્યું હતું.
મોરબીના અણીયારી ગામના પ્રેમજીભાઇ હરજીવનભાઇ અહલગામાના આજે લગ્ન નિર્ધારિત હોવાથી મંગળ ફેરા પૂર્વે અને માળિયાના ભારતનગર ગામે જાન પ્રસ્થાન કરે તે પહેલાં, વરરાજાના વેશમાં સજ્જ પ્રેમજીભાઇએ અણીયારી ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે જઇ મતાધિકારનો ઉપયોગ કરી પોતાની આંગળી પર અમિટ શાહીનું નિશાન અંકિત કરાવ્યું હતું.યાત્રાધામ વીરપુર ખાતે પોતાની લગ્નવિધિ પૂર્વે વરરાજા સંદિપભાઇ દિનેશભાઇ ચાવડાએ મતદાન કરી લોકશાહીના પર્વનાં સહભાગી બન્યા હતા. જ્યારે ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે મંડપ મુહુર્ત પહેલાં વરરાજા સુનિલભાઇ પરમારે મતદાન કર્યુ હતું. ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ બે યુવાનોએ લગ્નમાં જાન પ્રસ્થાન પૂર્વે મતદાન મથકે પહોંચી પોતાનો કિંમતી મત આપ્યો હતો. વાંકાનેરમાં લગ્નવિધિ પૂર્વે વરરાજાના પોશાકમાં સાહિલભાઇ જગદીશભાઇ અગોલાએ મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જ્યારે ધોરાજીના ઝાંઝમેર ગામે વરરાજા રાજેશભાઇ સોલંકીએ લગ્ન પૂર્વે મતદાન કર્યું હતું. જેતપુરના પેઢલા ગામે જયદીપભાઈ અરવિંદભાઈ મકવાણાએ લગ્ન પૂર્ણ થયા બાદ જાનૈયા સાથે સીધા મતદાન મથકે જઇ મતદાન કર્યું હતું.










