![]()
Sco Defence Ministers Meeting: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આપેલા નિવેદન પર આજે બુધવારે કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશનો આરોપ છે કે શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન(SCO)ની બેઠકમાં સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને ક્લીનચીટ આપી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આ પ્રકારનું કથિત નિવેદન આપ્યું છે.
‘અમેરિકાને ખુશ કરવાની નીતિનો હિસ્સો’
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કર્યો કે પાકિસ્તાનને લઈને ભારતે નવો દૃષ્ટિકોણ અપનાવ્યો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાને ખુશ કરવાની નીતિનો હિસ્સો છે અને ચીન સામે સંતુલિત આત્મસમર્પણનો ભાગ છે.
રાજનાથ સિંહનો વીડિયો શેર કરી ભાજપ પર કોંગ્રેસના પ્રહાર
જયરામ રમેશે મોદી સરકાર પર નિશાન સાધવા માટે સોશિયલ મીડિયા પર રાજનાથ સિંહના બિશ્કેકવાળા સંબોધનની એક નાની વીડિયો ક્લિપ પણ શેર કરી છે. જેમાં સંરક્ષણ મંત્રી કહી રહ્યા છે કે, ‘આપણે એ ન ભૂલવું જોઈએ કે આતંકવાદનો કોઈ દેશ હોતો નથી અને ન તો કોઈ ધર્મ. આતંકવાદ અને માનવીય નુકસાન માટે કોઈ પણ કારણ, પછી તે વાસ્તવિક હોય કે કાલ્પનિક, તે વ્યાજબી નથી.’ આ જ આધારે કોંગ્રેસ નેતાએ મોદી સરકાર પર એવું કહીને હુમલો કર્યો છે કે ‘શું પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર નથી? શું પાકિસ્તાનમાં એવા આતંકી કેમ્પ નથી, જેનું નિશાન ભારત છે?’
‘પાકિસ્તાનને શરમજનક ક્લીન ચીટ આપી દીધી’: જયરામ રમેશ, કોંગ્રેસ મહાસચિવ
ગઈકાલે સંરક્ષણ મંત્રીએ, સ્પષ્ટપણે વડાપ્રધાનની સ્વીકૃતિ અને તેમના નિર્દેશ પર, બિશ્કેકમાં બોલતા પાકિસ્તાનને શરમજનક ક્લીન ચીટ આપી દીધી. સંરક્ષણ મંત્રીના આ ચોંકાવનારા નિવેદનો એટલા જ રાષ્ટ્ર વિરોધી છે, જેટલી 19 જૂન, 2020ના રોજ ચીનને લઈને વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી વિચિત્ર ક્લીન ચીટ હતી.
‘પાકિસ્તાન પ્રત્યે આ નવો અભિગમ ‘
કોંગ્રેસ નેતાએ સવાલ કર્યો કે શું પાકિસ્તાનમાં ભારત વિરોધી વિચારને આગળ વધારવામાં નથી આવતો. તેમણે આ માટે મુંબઈ અને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને તેના આતંકવાદીઓના ત્યાંથી જોડાયેલા તારનો પણ હવાલો આપ્યો છે. તેમણે આગળ લખ્યું-, ‘સાફ છે કે પાકિસ્તાન પ્રત્યે આ નવો અભિગમ છે, જે અમેરિકાને ખુશ કરવા માટે અને ચીન સામે એક રીતે સમર્પણની વડાપ્રધાનની નીતિનો જ ભાગ છે.’
આ પણ વાંચો: વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર
SCOના મંચ પરથી પાકિસ્તાનને કડક સંદેશ
સંરક્ષણ મંત્રીએ SCO કોન્ક્લેવને સંબોધિત કરી હતી. જેમાં તેમણે એ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધું કે ઓપરેશન સિંદૂર એ ભારતના એ સંકલ્પને પ્રદર્શિત કર્યો છે કે આતંકવાદના કેન્દ્રો ‘ઉચિત દંડ’થી સુરક્ષિત નથી. તેમણે નામ લીધા વિના સીધો પાકિસ્તાન તરફ ઇશારો કરતાં પ્રભાવશાળી દેશોને રોકડું પરખાવી દીધું કે રાજ્ય-પ્રાયોજિત સીમા પારના આતંકવાદને નજરઅંદાજ ન કરો અને તેના પર કોઈનું બેવડું વલણ નહીં ચાલે.










