Tragic Saturday in Gujarat: ગોઝારો શનિવારે(2 મે, 2026) જૂનાગઢના માંગરોળ, છોટાઉદેપુર, કચ્છ, વડોદરાના પાદરા અને અમરેલીના જેસીંગપરામાં સર્જાયેલા 5 માર્ગ અકસ્માત તેમજ રાજકોટના આજી ડેમમાં ડૂબવાની 1 કરુણ ઘટના બની હતી. આ તમામ દુર્ઘટનાઓમાં કુલ 10 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. નીલગાય આડી ઉતરવી, ઓછી વિઝિબિલિટી અને વાહનોની ટક્કર જેવા કારણોસર સર્જાયેલી આ ઘટનાઓએ સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી મચાવી દીધી છે.
માંગરોળમાં રોઝડું (નીલગાય) આડું ઉતરતા બસ પલટી, 2 શ્રદ્ધાળુઓના મૃત્યુ
જૂનાગઢના માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની એક ખાનગી બસ પલટી મારી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ખાનગી બસમાં 40થી વધુ ભાવનગરના શ્રદ્ધાળુઓ સવારી કરી રહ્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન કરીને દેવભૂમિ દ્વારા જવા નીકળ્યા હતા, રઈજ ગામ પાસે પહોંચતા રસ્તા વચ્ચે રોઝડું (નીલગાય) આવી ગયું હતું. જેથી બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા.

છોટાઉદેપુરમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી-ડભોઈ હાઈવે પર પીઠા ગામ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર તાલુકાના જામલા ગામના રહેવાસી 28 વર્ષીય નયનેશ કંદુભાઈ રાઠવા પોતાની બાઈક પર ગેસનો બાટલો બાંધીને વડોદરા તરફ પ્લમ્બિંગના કામ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પીઠા ગામ નજીક કાળમુખા વાહને તેમને અડફેટે લીધા હતા. જેમાં નયનેશનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

કચ્છમાં કાર અકસ્માતમાં એક જ પરિવારના 2ના મોત, 7ને ઈજા
કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા વેણુ બેટ નજીક ધૂળની ડમરીઓ ઉડવાથી અને ઓછી વિઝિબિલિટીને કારણે કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં એક જ પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય સાત સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
કાર અકસ્માતમાં સુરત ગ્રામ્ય SOGના હેડ કોન્સ્ટેબલનું મોત
વડોદરાના પાદરા નજીક એક્સપ્રેસ વે પર સર્જાયેલા એક ભીષણ માર્ગ અકસ્માતમાં સુરત ગ્રામ્ય SOGના હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર, પાદરા નજીક એક્સપ્રેસ વે પર એક કાર એસ.ટી. (ST) બસની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર હેડ કોન્સ્ટેબલને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આજી ડેમમાં ડૂબી જવાથી 3ના મોત
રાજકોટના આજી ડેમમાં ચાર લોકો ડૂબવાની ઘટના બની હતી. ડેમના કાંઠા પર આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ એક વ્યક્તિ કોઈ કારણોસર ડેમમાં ડૂબ્યો હતો. આ દરમિયાન તેને બચાવવા જતાં અન્ય ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં પિતા-પુત્ર સહિત ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા એમ ત્રણ વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જ્યારે એકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

અમરેલીના જેસીંગપરામાં ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત, 1નું મોત, 1 ઈજાગ્રસ્ત
અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં ઠેબી નદીના પુલ પર વહેલી સવારે ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત હતો. અકસ્માતમાં બાઈક સવાર નાનુભાઈ ચોવટિયાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના પત્ની મંજુબહેનને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.











