![]()
વંથલીના નાના કાજલીયાળાની સીમમાં આશ્ચર્યજનક ઘટના શ્વાનોના ટોળાએ બે વર્ષના નર હરણને ફાડી ખાતા વન વિભાગે મૃતદેહને પીએમ અર્થે અમરાપુર ખસેડયો
જૂનાગઢ, : વંથલી તાલુકાના નાના કાજલીયાળા ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વન્યજીવ સૃષ્ટિના અત્યંત સુંદર અને ચપળ ગણાતા હરણનો શ્વાનો દ્વારા શિકાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા હરણનો શિકાર થતો હોય છે પરંતુ રખડતા શ્વાનો દ્વારા શિકારની આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે.
નાના કાજલીયાળા ગામની સીમમાં આવેલ ખેડૂત ગોવિંદભાઈ કરસનભાઈ વાઢેરના ખેતરમાં આ બનાવ બન્યો હતો. જ્યારે ખેડૂત સવારના સમયે પોતાના ખેતરે કામ અર્થે ગયા ત્યારે તેમને ખેતરમાં અંદાજે બે વર્ષના એક નર હરણનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ખેડૂતે તુરંત આ અંગે ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરી હતી. સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિભાગની પ્રાથમિક તપાસમાં હરણના શરીર પરના નિશાન જોતા તેવું ફલિત થયું છે કે શ્વાનોના ટોળા દ્વારા હરણનો શિકાર કરવામાં આવ્યો છે. હરણના મોતના ચોક્કસ કારણો અને ટેકનિકલ પાસાઓ જાણવા માટે વન વિભાગ દ્વારા મૃતદેહને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
કુદરતી ચક્ર મુજબ હરણ એ તૃણભક્ષી પ્રાણી છે અને તે સિંહ-દીપડા જેવા હિંસક પ્રાણીઓનો મુખ્ય ખોરાક ગણાય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનો દ્વારા જે રીતે હરણનો શિકાર થયો છે, તે વન્યજીવોની સુરક્ષા સામે સવાલો ઉભા કરે છે. આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે વન વિભાગ અને સ્થાનિક તંત્ર વધુ સતર્ક બને તેવી માંગ ઉઠી રહી છે.










