![]()
AIADMK Leadership Crisis 2026: તમિલનાડુના રાજકારણમાં એક ઐતિહાસિક વળાંક જોવા મળી રહ્યો છે. અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) અત્યારે તેના અસ્તિત્વના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. એડપ્પાદી કે. પલાનીસ્વામી (EPS) ના નેતૃત્વ સામે પક્ષના જ વરિષ્ઠ નેતાઓએ મોરચો ખોલ્યો છે, જેના કારણે પક્ષ હવે વિભાજન તરફ આગળ વધી રહ્યો હોય તેમ જણાય છે.
વિજયની TVK સાથે જોડાણની ઈચ્છા
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની નવી પાર્ટી ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) છે. શનિવારે વિજયે બહુમતી સાબિત કર્યા બાદ, AIADMKના અનેક વરિષ્ઠ નેતાઓ ઈચ્છે છે કે, પક્ષ વિજયની સરકારને સમર્થન આપે અને સત્તામાં ભાગીદારી કરે. જોકે, EPS આ પ્રસ્તાવ સામે મક્કમ વિરોધ નોંધાવી રહ્યા છે.
બળવાખોર જૂથનું ગણિત
AIADMKના 47 ધારાસભ્યોમાંથી અંદાજે 30 થી 36 ધારાસભ્યો અને વરિષ્ઠ પદાધિકારીઓ બળવાખોર જૂથ સાથે હોવાનું મનાય છે. આ જૂથનું નેતૃત્વ પૂર્વ મંત્રીઓ એસ.પી. વેલુમણી, સી. વિજયભાસ્કર અને વરિષ્ઠ નેતા સી.વી. શનમુગમ કરી રહ્યા છે. બળવાખોર નેતાઓનું કહેવું છે કે, “ભલે EPS સત્તાવાર રીતે જનરલ સેક્રેટરી હોય, પરંતુ પક્ષના મોટાભાગના પાવર સેન્ટરો હવે તેમની સાથે નથી”.
DMK-AIADMK સમજૂતીનો ફિયાસ્કો
આ કટોકટી ત્યારે વકરી જ્યારે ગયા અઠવાડિયે DMK અને AIADMK વચ્ચે પડદા પાછળ ચાલી રહેલી સત્તા વહેંચણીની વાટાઘાટો નિષ્ફળ ગઈ. એવી ચર્ચા હતી કે AIADMKના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બને જેને DMK બહારથી ટેકો આપે અને EPS મુખ્યમંત્રી બને. VCK નેતા થોલ થિરૂમાવલવને EPSના નામનો વિરોધ કર્યો હતો. જ્યારે થિરૂમાવલવનનું નામ મુખ્યમંત્રી તરીકે વિચારાયું, ત્યારે EPS એ તેને સ્વીકારવાની ના પાડી દીધી હતી. આ યોજના નિષ્ફળ જતા અને શનિવારે વિજયે પોતાની બહુમતી સાબિત કરી દેતા, AIADMKની અંદરના જૂના મતભેદો ફરી સપાટી પર આવ્યા છે.
આ પણ વાંચો : SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર
પક્ષના સંગઠન પરથી EPSની પકડ ઢીલી?
રવિવારે EPS એ કંટ્રોલ મેળવવા માટે જિલ્લા સચિવો સાથે બેઠક કરી હતી, પરંતુ ત્યાં પણ તેમને નિરાશા મળી હોવાના અહેવાલ છે. અડધાથી વધુ જિલ્લા સચિવો કોયમ્બતૂરના પ્રભાવશાળી નેતા એસ.પી. વેલુમણી તરફ ઝૂકેલા જોવા મળ્યા હતા. વેલુમણી લાંબા સમયથી પક્ષના નાણાકીય અને સંગઠનાત્મક સ્તંભ ગણાય છે.
બળવાખોરોની બે મુખ્ય માંગણીઓ
એડપ્પાદી કે. પલાનીસ્વામી (EPS) જનરલ સેક્રેટરી પદેથી રાજીનામું આપે.
પક્ષને વિજયની TVK સાથે રાજકીય વાટાઘાટો કરવાની છૂટ આપવામાં આવે.
જાતિગત સમીકરણો અને TVKની ઓફર
બળવાખોર જૂથમાં સી.વી. શણમુગમનું હોવું ખૂબ જ મહત્વનું છે કારણ કે તેઓ ‘વન્નીયાર’ સમુદાયના મોટા નેતા છે. ઉત્તર તમિલનાડુમાં, જ્યાં વિજયની લહેર સામે AIADMK અને PMK ટકી શક્યા હતા, ત્યાં આ સમુદાયનો મોટો પ્રભાવ છે. બીજી તરફ, TVK છાવણીમાં મંત્રીમંડળની વહેંચણી અંગે અનૌપચારિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો AIADMK ગઠબંધનમાં જોડાય છે, તો તેમને 8 થી 12 મંત્રીપદ મળી શકે છે. આ ઉપરાંત VCK ને 1-2 અને કોંગ્રેસને 2 મંત્રીપદ આપવાની પણ ચર્ચા છે.
ભાજપની ભૂમિકા અને ભવિષ્યનું જોખમ
AIADMKના નેતાઓ માને છે કે દિલ્હી (ભાજપ) સાથે EPS ના સંબંધો 2024 ની લોકસભા ચૂંટણી પહેલા જ બગડ્યા હતા. બળવાખોરોનો આક્ષેપ છે કે EPS એ 2026 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને એવી 27 બેઠકો આપી જે જીતવી અશક્ય હતી, જેથી ભાજપની શક્તિ નબળી પડે.
હાલમાં AIADMKના કાર્યકરોમાં એક જ ડર છે કે જો પક્ષ સત્તાથી દૂર રહેશે, તો વિજય પોતાની પકડ મજબૂત કરશે અને AIADMK વધુ નબળી પડી જશે. શું EPS પોતાનું પદ બચાવી શકશે કે AIADMK ફરી એકવાર ઇતિહાસમાં મોટા વિભાજનનો સાક્ષી બનશે, તે આવનારા એક અઠવાડિયામાં સ્પષ્ટ થઈ જશે.










