![]()
Jamnagar RTE Education : જામનગર ખાતે આરટીઈ ફોર્મ ચકાસણી દરમિયાન થયેલી વહીવટી ભૂલના કારણે બે વિદ્યાર્થીઓના એડમિશન ફોર્મ રદ થવાના પ્રકરણમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈની રજૂઆતને સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની વેરિફાયર ટીમ દ્વારા આરટીઈ ફોર્મ ચકાસણીની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી રહી ગઈ હતી. આ ભૂલના કારણે કેટલાક વિદ્યાર્થીઓના આરટીઈ એડમિશન ફોર્મ રદ થઈ ગયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહેવાની સ્થિતિ સર્જાઈ હતી.
આ બાબતની જાણ થતાં જ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈની ટીમે જિલ્લા શિક્ષણાધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. ટીમ દ્વારા કચેરીની ભૂલના કારણે વિદ્યાર્થીઓના ફોર્મ રદ ન કરવા અને તેમને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈની રજૂઆતને ગંભીરતાથી લઈ જામનગર જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક રાજ્ય શિક્ષણ વિભાગને સમગ્ર મામલે લેખિતમાં જાણ કરી કાર્યવાહી હાથ ધરી હતી. અંતે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જે વિદ્યાર્થીઓના આરટીઈ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, તે ફરી માન્ય રાખવામાં આવ્યા છે અને સંબંધિત વિદ્યાર્થીઓને એડમિશન પણ ફાળવી દેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ રજૂઆતને સફળતા મળતાં સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ આરટીઈ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા બદલ જિલ્લા શિક્ષણાધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો.









