![]()
ઉગ્રવાદીઓએ બે વાહનો પર ગોળીઓ ચલાવી હતી
ચર્ચના સભ્યો ધાર્મિક સભામાં સામેલ થયા પછી પરત ફરી રહ્યાં હતાં ત્યારે કરાયેલો હુમલો
ઇમ્ફાલ: બુધવારે મણિપુરનાં કાંગપોકપી જિલ્લામાં ઉગ્રવાદી હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય ચાર ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આ ઘટના કોટઝિમ અને કોટલેન ગામોની વચ્ચે બની હતી. જ્યાં થાદો બેપટિસ્ટ એસોસિએશન (ટીબીએ)નાં સભ્યો એક ધાર્મિક સભામાં સામેલ થયા પછી ચુરાચાંદપુરથી પરત ફરી રહ્યાં હતાં.
પોલીસે જણાવ્યું હતું કે ઉગ્રવાદીઓએ એ બે વાહનો પર ગોળીઓ ચલાવી હતી જેમાં તે યાત્રા કરી રહ્યાં હતાં. મૃત્યુ પામેલા લોકોમાં મણિપુર બેપટિસ્ટ કન્વેકશનનાં પૂર્વ મહાસચિવ રેવરેંડ વી સિટલહોર પણ સામેલ હતાં. તેમણે જણાવ્યું હતું કે અન્ય બે મૃતકોની ઓળખ રેવરેંડ કાયગોલેન અને પાદરી પાઓગોલેન તરીકે કરવામાં આવી છે. મુખ્યપ્રધાન વાય ખેમચંદ સિંહે જણાવ્યું હતું કે ઘાયલો પૈકી ત્રણને સારવાર માટે ઇમ્ફાલનાં શિજા હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેં નાયબ મુખ્યપ્રધાન લોસી દિખો, ગૃહ પ્રધાન ગોવિંદાસ કોંથોજમ, ધારાસભ્યો અને સરકારનાં અન્ય સંબધિત અધિકારીઓ સાથે મળી ઘાયલોની મુલાકાત લીધી હતી.










