શહેરના વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યા રહે છે. જેથી નો પાર્કિગમાં પાર્ક થતા વાહનોને લોક કરવામાં આવે તે સ્વાભાવિક છે. પરંતુ, ટ્રાફિકથી સતત ધમધમતા વસ્ત્રાપુર જેવા વિસ્તારમાં ટ્રાફિક પોલીસના બેવડા ધોરણ સામે આવ્યા છે. જેમાં સજીવની ચાર રસ્તાની સામેના ટર્ન પર રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સંચાલકો દ્વારા વળાંક પર જ વાહનો પાર્ક કરવામાં આવે છે. પોલીસની હપતાખોરીને કારણે આ સમસ્યાનુ નિરાકરણ આવતું નથી.

વસ્ત્રાપુર સંજીવની હોસ્પિટલ ચાર રસ્તા ટ્રાફિકની દ્રષ્ટિએ ખુબ જ મહત્વના છે. જ્યાં આડેધડ વાહન પાર્ક ન થાય તે જરૂરી છે. પરંતુ, એ ડીવીઝન ટફિક પોલીસના બેવડા ધોરણ સામે આવ્યા છે. જેમાં સંજીવની હોસ્પિટલ ચાર રસ્તાની સામે હિમાલયા મોલ તરફ જવાના રસ્તા પર આવેલી ખાણીપીણીની દુકાનોમાં આવતા ગ્રાહકોને તેમની કાર અન્ય જગ્યાએ પાર્ક કરાવવાના બદલે મુખ્ય વળાંક પર જ આ ખોટી રીતે વાહન પાર્ક કરાવવામાં આવે છે. જેથી ટ્રાફિકની સમસ્યા સતત રહે છે. પરંતુ, ટ્રાફિક પોલીસને અન્ય સ્થળે જેમ નો પાર્કિગના વાહનો દેખાઇ છે. તેમ આ મુખ્ય રસ્તા પર ખોટી રીતે પાર્ક થતા વાહન દેખાતા નથી. જેના કારણે પીકઅવર્સમાં સ્થિતિ જોખમી બને છે.
ગુરૂવારે સાંજના સમયે પોલીસે એક કાર નો પાર્કિગમાં હોવાથી તેને લોક કરી હતી. પરંતુ, તે કારચાલકે સંજીવની હોસ્પિટલ ચાર રસ્તા સામેના વળાંક અંગે ધ્યાન દોરતા ત્યાં પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી અને ત્યાંના ખાણીપીણીની દુકાનના સંચાલકે પણ કારચાલકને પોલીસની હાજરીમાં જ દાદાગીરી કરી હતી અને વળાંક પાર્ક કરેલી તેના ગ્રાહકોની કારને હટાવી ન હતી.
આ સ્થિતિ માત્ર વસ્ત્રાપુરની નથી પણ શહેરના અનેક વિસ્તારોમાં પોલીસના બેવડા ધોરણ સામે આવતા રહે છે. જેમાં ટાર્ગેટ પુરો કરવા માટે ઓછા વાહન વ્યવહાર વાળા રસ્તા પર વાહન લોક કરવામાં આવે છે અને પીક અવર્સમાં ટ્રાફિક કરતા વાહનો નજરે આવતા હોવા છતાંય, કાર્યવાહી થતી નથી.










