![]()
ઓઈલ કંપનીઓ સ્વતંત્ર છતાં કેન્દ્રનો અંકુશ
રશિયા-યુક્રેન યુદ્ધ સમયે 15 દિવસમાં 13 વખત ભાવ વધતા એપ્રિલ 2022માં સ્થિર કરાયા
નવી દિલ્હી: રતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પહેલા સરકારનું નિયંત્રણ હતું, પરંતુ ૨૦૧૦ અને ૨૦૧૪થી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવાની કામગીરી સરકારી ઓઈલ કંપનીઓને સોંપી હતી. કંપનીઓ મહિનામાં બે વખત ભાવની સમીક્ષા કરતી હતી. જોકે, ૨૦૧૭થી પેટ્રોલ અને ડીઝલના ભાવને આંતરરાષ્ટ્રીય ભાવ સાથે જોડી દેવાતા તેમાં દૈનિક ફેરફાર થવા લાગ્યો હતો.
જોકે, ફેબુ્રઆરી ૨૦૨૨માં રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થતા ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર જતો રહ્યો હતો. આ સમયે માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજેરોજ વધારો થવા લાગ્યો હતો. આ વધારો આંશિક રહેતો હતો. જોકે, આ સમયે ૧૫ દિવસમાંથી ૧૩ દિવસ ભાવ વધ્યા હતા અને તેમાંથી ૧૦ દિવસ ૮૦ પૈસાનો ભાવ વધારો થયો હતો. એટલે કે ૧૦ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. ૮નો વધારો થતા સરકાર ચોંકી ઊઠી હતી. આથી, મોંઘવારી અને જનતા પરનો બોજ ઘટાડવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ એપ્રિલ ૨૦૨૨માં સ્થિર કરી દીધા હતા.










