![]()
અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં તસ્કર ટોળકી જોહરમાં ચોરીને તરખાટ મચાવી રહી છે. મણિનગર રામબાગ ચાર રસ્તા પાસે વેપારી પકોડી ખાતા માટે ગયા હતા અને કારનો કાચ તોડીને તેમાંથી રોકડા રૂ.3.18 લાખની ચોરી કરી હતી. વેપારી આંગડીયામાંથી રૂપિયા લાવ્યા હતા અને પંદર મીનીટમાં જ ચોરી કરીને બાઇક ઉપર આરોપીઓ નાસી ગયા હતા. બીજા બનાવમાં મહિલા લાલદરવાજા ખાતે ખરીદી કરવા આવી હતી. દરમિયાન AMTS બસમાં તેમના પર્સમાંથી રોકડા રૂ.80 હજાર ચોરાયા હતા. આ બન્ને બનાવમાં પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વેપારી પકોડી ખાવા ગયા ને ગઠિયાઓ કારમાંથી 3.18 લાખ લઈને રફુચક્કર
ઇસનપુરમાં રહેતા વેપારીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા.13-05-2026ના રોજ નારોલ આંગડિયા પેઢીમાંથી રોકડા રૂ.3.18 લાખ લઇને બેગ થાર કારમાં મૂકી હતી અને બપોરે 4.30 વાગે રામબાગ ચાર રસ્તા પાસે કાર ગલીમાં પાર્ક કરી હતી તે નજીકમાં પકોડી ખાવા ગયા હતા. પંદર મિનીટમાં પાછા આવ્યા ત્યારે કારનો કાચ તોડીને અંદર થેલીમાં મૂકેલા રોકડા રૂ.3.18 લાખની ચોરી કરીને આરોપી બાઇક ઉપર નાસી ગયા હતા. આ બનાવ અંગે મણિનગર પોલીસે ચોરીનો ગુનો નોંધીને કોઇ જાણભેદુએ વેપારીનો પીછો કરીને ચોરી કરી હોવાની શંકા આધારે પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી છે.
ખરીદી કરવા આવેલી મહિલાના પર્સમાંથી રૂ.80,000ની ચોરી
બીજા બનાવમાં થલતેજ ખાતે રહેતી મહિલાએ કારંજ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. 18-05-2026ના રોજ મહિલા થલતેજથી એએમટીએસમાં બેસીને લાલદરવાજા ખાતે ખરીદી કરવા માટે આવ્યા હતા લાલદરવાજા બસ સ્ટેન્ડ ઉપર ઉતરીને બેગ ચેક કરતાં તેમાંથી રોકડા રૂ.૮૦,૦૦૦ની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ બનાવ અંગે કારંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.










