![]()
ગુજરાતમાં શેરડીનો પાક આ વર્ષે ઘટીને 128.65 લાખ ટન : ચાલુ વર્ષમાં 20 ટકા ઈથાનોલ બ્લેન્ડીંગથી વાહન સ્ટાર્ટના પ્રશ્નો અન્વયે પેટ્રોલપંપો ઉપર બોર્ડ લગાવવા પડયા હતા
રાજકોટ, : ગ્રીન ફ્યુલ અને આત્મ નિર્ભરતાના નામ ઉપર ભારતમાં પેટ્રોલમાં થતી બાકાયદા મિલાવટ અર્થાત્ ઈથાનોલ બ્લેન્ડીંગનું પ્રમાણ ક્રમશઃ વધારીને ચાલુ વર્ષે 20 ટકાએ પહોંચાડી દીધા બાદ હવે 30 ટકા સુધી પહોંચાડવા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા E-22, E-25 ,E-27 અને E-30 એવા ફ્યુઅલના નવા સ્ટાન્ડર્ડ જારી કર્યા છે જેનો અર્થ એ છે કે હવે એક લિટર (1000 મિલિ) પેટ્રોલમાં 300 મિલિ. બાકાયદા ઈથાનોલ ભેળવાશે. જો કે આ ઈથાનોલ બનાવવા શેરડીની માંગ વધશે પરંતુ, શેરડીનું ઉત્પાદન ગુજરાતમાં ઘટી રહ્યું છે. સરકારે આ માટે મંજુરી આપી દીધી છે.
આ પહેલા ગુજરાતમાં ઈથાનોલ બ્લેન્ડીંગ વધીને 20 ટકાએ પહોંચ્યું ત્યારે અનેક પેટ્રોલપંપ સંચાલકોએ એવા બોર્ડ મુક્યા હતા કે સરકારની ગાઈડલાઈન મૂજબ પેટ્રોલમાં 20 ટકા ઈથાનોલ ભેળવાય છે. આવા બોર્ડ એટલે લાગ્યા કે કેટલાક વાહનચાલકોએ પેટ્રોલમાં મિલાવટની શંકા એમ કહીને દર્શાવી હતી કે સ્ટાર્ટીંગમાં પ્રોબ્લેમ થાય છે. જો કે સૂત્રો અનુસાર ઈથાનોલ બાકાયદા ભેળવેલું પેટ્રોલને જો ભેજ કે જરાક પાણી અડે તો મૂશ્કેલી સર્જાઈ શકે છે, અન્યથા કોઈ પ્રશ્નો આવતા નથી. હાલ પેટ્રોલની સાથે 20 ટકા ઈથાનોલ જ વેચાઈ રહ્યું છે.
ઓગષ્ટ- 2025માં સરકારના પેટ્રોલિયમ-નેચરલ ગેસ મંત્રાલયે 20 ટકા ઈથાનોલ બ્લેન્ડીંગ અંગે અભ્યાસના રિપોર્ટમાં જણાવ્યું કે શેરડી અને મકાઈથી બનતા ઈથાનોલમાં અનુક્રમે 65 ટકા અને 50 ટકા ઓછો ધુમાડો હોય છે ,ઈથાનોલમાં ઓક્ટેન નંબર પેટ્રોલ કરતા વધારે છે વગેરે અનેકવિધ મુદ્દે ભરપૂર પ્રશંસા કરાઈ ત્યારે જ ભવિષ્યમાં ઈથાનોલ બ્લેન્ડીંગ વધવાનો નિર્દેશ મળ્યો હતો. ઈથાનોલની માંગ વધવા સાથે તેની કિંમત સતત વધતી રહી છે, જૂલાઈ- 2025મીાં પ્રતિ લિટર રૂ।. 71ને પાર થઈ હતી.જે પેટ્રોલ કરતા નીચો છે પરંતુ, ઈથાનોલ પણ પેટ્રોલની સાથે પેટ્રોલના ભાવે જ વેચાશે!
30 ટકા સુધી બ્લેન્ડીંગ ક્રમશઃ વધારાશે જો કે તે માટે શેરડીના ઉત્પાદનમાં જબરદસ્ત વધારો કરવાની અને આ માટે અનિવાર્ય સિંચાઈના પાણીની પુરતી સુવિધા ઉભી કરવાની જરૂર પડશે, કારણ કે શેરડીનો ઉપયોગ ગોળ,ખાંડ માટે પણ અનિવાર્ય છે.










