![]()
image : Social media
Vadodara : દેશમાં હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ઊર્જા સંકટ વધુ ઘેરું બન્યું છે. સરકારે તમામ વિભાગોને વીજળી બચાવવા અને વાહનોનો ઉપયોગ ઘટાડવા કડક સૂચનાઓ આપી છે. પરંતુ જ્યારે સરકારી કચેરીઓની અંદર ડોકિયું કરીએ તો તસ્વીર સાવ જુદી જ નજરે પડે છે.
બિનજરૂરી વાહનોનો ઉપયોગ ટાળવો, અધિકારી-કર્મચારીની ગેરહાજરીમાં લાઈટ, પંખા અને એસી બંધ રાખવા, મોટાભાગના સરકારી વિભાગોને આ અંગે લેખિત અપીલ કરવામાં આવી છે.
સરકારી કચેરીઓમાં ફરજ પર હાજર ન હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓના ખાલી ઓરડાઓમાં એસી ધમધમી રહ્યા છે. લાઈટ અને પંખા ચાલુ રહે છે. ઊર્જા બચતના આદેશો માત્ર ફાઈલોમાં સિમિત રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાય છે. રાષ્ટ્રીય કટોકટી વખતે પણ વહીવટી બેદરકારી ચાલુ હોવાનું ઉઘાડું પડ્યું છે.
ઊર્જા બચતના આ આદેશના અમલ માટે કોઈ નોડલ ઓફિસર નિમાયા નથી, કોઈ ચેકિંગ મિકેનિઝમ ઊભું કરાયું નથી અને ઉલ્લંઘન બદલ કોઈ જવાબદારી નક્કી કરાઈ નથી. પરિણામે આ આદેશ માત્ર ઔપચારિક્તા બનીને રહી ગયો છે.
એક તરફ સામાન્ય નાગરિકોને વીજળી બચાવવાની અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્ર જ ઊર્જા વ્યયમાં આગળ છે. આ દ્વિધા નીતિ સામે નાગરિકોમાં રોષ ફેલાઈ રહ્યો છે.










