![]()
DK Shivakumar Political History : કર્ણાટકના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાવુક થઈને આગામી મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. સિદ્ધારમૈયા આજે બપોરે રાજ્યપાલના અંગત સચિવને પોતાનું રાજીનામું સોપ્યું છે. આ પછી 29 મેના રોજ કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠકમાં શિવકુમારના નામ પર સત્તાવાર મહોર મારવામાં આવશે.
શિવકુમાર નાની ઉંમરે PM સામે ચૂંટણી લડ્યા
શિવકુમાર જ્યારે 23 વર્ષના હતા, ત્યારે તેમણે દેશના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા સામે ચૂંટણી લડીને સૌને ચોંકાવી દીધા હતા. 1985ની એ પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં શિવકુમાર ભલે હારી ગયા, પરંતુ તેમણે દેવગૌડા જેવા કદાવર નેતાને જોરદાર ટક્કર આપી હતી. ત્યારબાદ 1989ની ચૂંટણીમાં તેઓ શાનદાર જીત મેળવીને માત્ર 30 વર્ષની ઉંમરે જેલ મંત્રી બન્યા હતા.
36 વર્ષથી એકપણ ચૂંટણી નથી હાર્યા
શિવકુમારે માત્ર દેવગૌડાને જ નહીં, પરંતુ 2004ની લોકસભા ચૂંટણીમાં તેમના પુત્ર કુમારસ્વામીને પણ કનકપુરા બેઠક પર જોરદાર ટક્કર આપી હતી. આ જ કારણે તેઓ વોક્કાલિગા સમુદાયના સૌથી મજબૂત નેતા બની ગયા. 1989 પછી શિવકુમાર પોતાના જીવનમાં એકપણ ચૂંટણી હાર્યા નથી અને સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
આ પણ વાંચો : VIDEO : મથુરામાં પરિક્રમા માર્ગ પર ધડાધડ ફાયરિંગ, 4ને ગોળી વાગી, શ્રદ્ધાળુઓમાં નાસભાગ
50 દિવસ તિહાર જેલમાં વિતાવ્યા
વર્ષ 2019માં આયકર વિભાગ અને ઈડીની તપાસ દરમિયાન તેમણે 50 દિવસ દિલ્હીની તિહાર જેલમાં વિતાવવા પડ્યા હતા. જ્યારે તેઓ જામીન પર બહાર આવ્યા ત્યારે વોક્કાલિગા સમુદાયે તેમની ધરપકડને સમાજના અપમાન તરીકે જોઈને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું, જેનાથી તેઓ વધુ મજબૂત બન્યા.
કોંગ્રેસના રાષ્ટ્રીય સંકટમોચક
શિવકુમાર સમગ્ર દેશમાં કોંગ્રેસ હાઈકમાન્ડના સૌથી વિશ્વાસુ સંકટમોચક માનવામાં આવે છે. 2017માં ગુજરાતના રાજ્યસભા ચૂંટણી વખતે અહેમદ પટેલની બેઠક બચાવવા માટે તેમણે ગુજરાતના ધારાસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં સુરક્ષિત રાખ્યા હતા. આ સિવાય 2002માં મહારાષ્ટ્રની વિલાસરાવ દેશમુખ સરકાર અને 2018માં કર્ણાટકમાં ગઠબંધન સરકાર બનાવવામાં તેમની ભૂમિકા મહત્વની હતી.
આ પણ વાંચો : મમતા બેનરજીને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું
દેશના સૌથી ધનિક રાજનેતાઓમાં સ્થાન
એક સાધારણ પરિવારમાં જન્મેલા શિવકુમારે પોતાની મહેનતથી મોટું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કર્યું છે. 2023ની ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની પાસે રૂ.1,350 કરોડથી વધુની સંપત્તિ છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને રિયલ એસ્ટેટ સામેલ છે. તેમની આ સંગઠનાત્મક અને આર્થિક તાકાત કોંગ્રેસને બેઠી કરવામાં મદદરૂપ સાબિત થઈ છે.
વોક્કાલિગા સમુદાયના બળથી સત્તા તરફ
કર્ણાટકમાં વોક્કાલિગા સમુદાયનો મોટો પ્રભાવ છે અને શિવકુમાર તેના સૌથી મોટા ચહેરા છે. 2020માં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ તેમણે ‘ભારત જોડો યાત્રા’ અને પદયાત્રાઓ દ્વારા જનતામાં ઊંડી પકડ બનાવી હતી. 2023ની ચૂંટણીમાં કોંગ્રેસની 135 બેઠકોની ઐતિહાસિક જીત પાછળ તેમની જ વ્યૂહરચના હતી, જેના કારણે હવે તેઓ કર્ણાટકની કમાન સંભાળવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો : 20 વર્ષ સુધી તમને વઢ્યો, દિલ પર ન લેતા! છેલ્લી કેબિનેટ મીટિંગમાં ભાવુક થયા સિદ્ધારમૈયા










