![]()
– એક જૂથ પાક.ના એજન્ટ જ્યારે બીજુ દાઉદના સંપર્કમાં હતું
– દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, પંજાબમાં એનઆઇએના દરોડામાં મોટી સંખ્યામાં હથિયારો પણ મળી આવ્યા
નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓએ એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરીને નવ આતંકીઓની ધરપકડ કરી છે. આતંકવાદીઓ સામે આ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવે છે. ધરપકડ કરાયેલા આ આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આઇએસઆઇ અને આંતરરાષ્ટ્રીય અન્ડરવર્લ્ડ નેટવર્કના આદેશ પર કામ કરતા હતા. ધરપકડ કરાયેલા આતંકીઓ દેશમાં વીજ પુરવઠો ખોરવવા માટે વીજળી ઉત્પાદન અને વિતરણ કેન્દ્રોને નિશાન બનાવવાની તૈયારીમાં હતા.
ધરપકડ કરાયેલા આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આતંકીઓના નેટવર્કનો એક હિસ્સો દાઉદ ઇબ્રાહિમના ઇશારા પર કામ કરતો હતો. જ્યારે નેટવર્કનું બીજુ જૂથ પાકિસ્તાનમાં સક્રિય શહઝાદ ભટ્ટીના ઇશારા પર કામ કરતું હતું. આ પુરા કાવતરા પાછળ માસ્ટરમાઇન્ડ તરીકે પાક.ની જાસૂસી સંસ્થા આઇએસઆઇનો હાથ હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલામાં એક જસવીર ચૌધરી નામનો પાકિસ્તાની એજન્ટ પણ સામેલ છે. તેણે પોતાના સાથીઓ સાથે મળીને પાક.માંથી ડ્રોનની મદદથી હથિયારો ભારતમાં મંગાવ્યા હતા.
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ તમામ આરોપીઓની ધરપકડ દિલ્હી, મુંબઇ, રાજસ્થાન અને પંજાબમાંથી કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આ આતંકીઓની પાસેથી આધુનિક વિદેશી હથિયારો, ગ્રેનેડ અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે પણ હથિયારો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી તેને પાકિસ્તાન દ્વારા સરહદ પાર ભારતમાં ઘૂસાડવામાં આવી હતી. સુત્રોનો દાવો છે કે આ નેટવર્ક દેશના મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવવાની ફિરાકમાં હતું જેમાં પાવર પ્લાન્ટ, વીજળી ઉત્પાદન તેમજ વિતરણ કેન્દ્ર, એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને મહત્વપૂર્ણ સેક્ટરોનો સમાવેશ થાય છે. મામલાને ગંભીરતાથી લઇને એજન્સીઓ હાલ આ મામલે વધુ માહિતી કઢાવવા પ્રયાસ કરી રહી છે.










