જામનગર સત્યસાઈ નગર ખાતે બાળકો માટે ભવ્ય યોગ સમર કેમ્પનું કરાયું આયોજન..
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જામનગરના સત્યસાઈ નગર ખાતે બાળકો માટે એક સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ સ્કૂલમાં રજાઓ ચાલી રહી છે ત્યારે બાળકો મોબાઈલથી દુર રહે અને વિવિધ રમતો અને યોગ જેવી પ્રવૃત્તિઓ દ્વારા તંદુરસ્ત અને તેમની વિચાર શક્તિ અને કૌશલ્યનો વિકાસ થાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં 300 સ્થળે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જામનગર ખાતે આવેલ સત્યસાઈ નગર ખાતે પણ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. યોગ, વિવિધ રમતો અને વેશભૂષા દ્વારા આ 15 દિવસીય કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોની યાદશક્તિ, પાચનશક્તિ તેમજ એકાગ્રતા વધે તે માટે વિવિધ યોગાસનો, પ્રાણાયામ, અવનવી રમતો, ભગવત ગીતાના શ્ર્લોકોનું ઉચ્ચારણ, સૂર્યનમસ્કાર તેમજ વિવિધ રમતો સાથેની પ્રવૃતિઓ યોજવામાં આવી હતી. જેમાં સોસાયટીના 5 થી 15 વર્ષના બાળકોએ મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે જોડાયા હતા અને જ્ઞાન મેળવ્યું હતું. આ કેમ્પ દરમ્યાન યોગ બોર્ડ તરફથી બાળકોને ડ્રોઈંગ બુક, કેપ અને યોગા પુસ્તક આપવામાં આવી હતી.
બીજી તરફ એબીએનએસ ન્યુઝ એજન્સી અને ભારત ખબર કેસરી અખબારની જામનગર ટીમ અને અન્ય દાતાઓ દ્વારા કાર્યક્રમ સ્થળે બાળકોને ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેથી બાળકનો ઉત્સાહ વધે. આ સમર કેમ્પનું કિંજલ વાડોલિયા, મુખ્ય સંચાલક, સહ સંચાલક મનીષા રાજમુલાની, તેજલ વડનગરા, જીલ્લા કોર્ડિનેટર હર્ષિતા મહેતા અને અલ્પા વસોયાના માર્ગદર્શન હેઠળ સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
આ કાર્યકમના અંતિમ દિવસે શહેર ભાજપ પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી તેમજ વોર્ડ નંબર 11ના પ્રભારી ભરતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા જેઓએ આ સમર કેમ્પના પૂર્ણ થતા અંતિમ દિવસે બાળકોને પ્રોત્સાહિત સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.










