![]()
What Is Gold Recycling? : છેલ્લા ઘણા વર્ષોથી સતત કિંમતો વધવાના કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. અનેક લોકો સોનામાં રોકાણ કરતા હોય છે, તો લગ્ન સહિતના તહેવારોમાં પણ તેની ધૂમ ખરીદી થતી રહે છે. શું તમે જાણો છે કે, દેશભરમાં જેટલું સોનું દર વર્ષે ખરીદવામાં આવે છે, તેનાથી પણ વધુ સોનું ભારતીય પરિવારોના ઘરમાં વર્ષોથી સંગ્રહ કરીને રાખેલું છે. રિપોર્ટ મુજબ, વર્તમાનમાં આ પરિવારો અને મંદિરો પાસે લગભગ 30 હજારથી 32 હજાર ટન સોનું પડ્યું છે અને તેની કિંમત લગભગ 3.8 ટ્રિલિયન ડૉલર હોવાનું અનુમાન છે. ચોંકાવનારી વાત ઓ છે કે, આમાંથી મોટાભાગનું સોનું ઘરોના લૉકર, તિજોરીઓમાં કોઈપણ ઉપયોગ વગર પડેલું છે. જો આમાંથી થોડું સોનં દેશની અર્થવ્યવસ્થામાં ઉપયોગ થાય તો દેશને મોટો ફાયદો થઈ શકે છે.
PM મોદીએ ‘ગોલ્ડ રિસાયક્લિંગ’ કરી હતી અપીલ
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટની ભારત પર અસર પડી છે. મધ્ય-પૂર્વ તરફથી સપ્લાય થતું ક્રૂડ ઓઈલ અટકી પડતા તેના ભાવ વધવાના કારણે દેશમાં પેટ્રોલ-ડિઝલ, ગેસ સહિતના ભાવમાં વધારો થયો છે. ત્યારે આ તમામ ઘટાક્રમ વચ્ચે વડાપ્રધાન મોદીએ ગયા મહિને લોકોને મહત્ત્વની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતી પરિવારો નવું સોનું ખરીદવાના બદલે ઘરોમાં પડેલું જૂનું અને બિનઉપયોગી સોનું ઉપયોગ કરે અને તેને રીસાયકલ કરાવે.
આ પણ વાંચો : અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંતા ગ્રૂપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ
સોનાનું રિસાયક્લિંગ એટલે શું?
બેકાર પડેલું સોનું ફરી ઉપયોગ લાયક બનાવવાની બાબતને ‘સોનું રિસાયક્લિંગ’ કહેવામાં આવે છે. આમાં જૂના ઘરેણા, તૂટેલા સિક્કા, સોનાના લગડી તેમજ ઈલેક્ટ્રોનિક સામાનમાંથી કાઢવામાં આવેલ સોનું એકત્ર કરવામાં આવે છે, પછી તેની શુદ્ધતાની તપાસ થાય છે, ત્યારબાદ તેને ઓગાળીને સાફ કરવામાં આવે છે. અને અંતે તેમાંથી 99.99% શુદ્ધ સોનું બનાવવામાં આવે છે. તે પછી આ સોનાનો ઉપયોગ નવી જ્વેલરી અને સિક્કા બનાવવામાં કરવામાં આવે છે. આ પ્રોસેસથી સોનાનો ફરી ઉપયોગ થવાની સાથે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે, કારણ કે ખાણમાંથી નવું સોનું કાઢવાની જરૂરીયાત ઘટી જાય છે, જેનાથી પ્રદૂષણ અને ઊર્જા ખર્ચ ઘટી જાય છે.
સરકારે ‘સોનું રિસાયક્લિંગ’ કરવા કેમ કહી રહી છે?
દેશમાં પડી રહેલા સોનાનું રિસાયક્લિંગ કરવાથી ભારતનું આયાત બિલ ઘટી શકે છે. ભારતે 2025-26માં માંગ પૂરી કરવા માટે 72.4 અબજ ડૉલરનું સોનું આયાત કર્યું હતું. ભારતને જેટલી જરૂર છે, તેમાંથી મોટાભાગની સોનું વિદેશમાંથી આયાત કરવામાં આવે છે, જેના કારણે દરેક આયાત પાછળ ડૉલરમાં કિંમત ચુકવવી પડે છે. જો યોગ્ય રીતે સોનાની રિસાયક્લિંગ કરવામાં આવે તો આયાત પર નિર્ભરતા ઘટવાની સાથે ડૉલરમાં ચૂકવણી પણ ઘટી શકે છે. સરળ ભાષામાં કહીએ તો, આપણે જેટલું સોનું રિસાયક્લિંગ કરીશું, તેટલું સોનું બહારથી ઓછું મંગાવવું પડશે. આ જ કારણે સરકારે ઘરોમાં સગ્રહ કરેલા સોનાનો ફરી ઉપયોગ કરવાની અપીલ કરી છે. રિપોર્ટ મુજબ, જો ભારતીય ઘરો અને મંદિરોમાં સંગ્રહ કરેલા કુલ સોનામાંથી માત્ર એક ટકા સોનું દર વર્ષે રિસાયક્લિંગ કરવામાં આવે તો સોનાની આયાત લગભગ 25થી 30 ટકા ઘટી શકે છે. આનાથી દેશની અર્થવ્યવસ્થાની સાથે જ્વેલરી માર્કેટને પણ ફાયદો થશે. આ એક ચેન પ્રોસેસ છે, તેની અસર તમામમાં જોવા મળશે.
આ પણ વાંચો : તાઈવાન બાદ દક્ષિણ કોરિયાએ ભારતને પછાડ્યું: AI અને આ બે કંપનીઓના જોરે બન્યું છઠ્ઠું સૌથી મોટું શેર માર્કેટ










