![]()
રાજકોટમાં આઠ વર્ષ પહેલાં મળેલા બાળકના માથા(હત્યા)નો ભેદ ઉકેલાયો
બાળકને પશ્ચિમ બંગાળથી મજૂરી માટે લઇ આવી અત્યાચાર ગુજારી મોતને ઘાટ ઉતારનાર આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી
રાજકોટ: રાજકોટમાં ૨૦૧૮ની સાલમાં રૂખડીયાપરા પાસેથી પસાર થતી આજી નદીમાંથી બાળકનું માત્ર માથું મળી આવ્યું હતું. આઠ વર્ષ બાદ ક્રાઇમ બ્રાંચે તેનો ભેદ ઉકેલી લીધો છે. બાળક પશ્ચિમ બંગાળનો શુભમ વિનોદભાઇ હસદા (ઉ.વ.૧૪) હતો. તેની હત્યા તેને મજૂરી કરવા લઇ આવનાર મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ સામાકાંઠે રાજનગરમાં રહેતા અજીતમૌલા આજમતમૌલા (ઉ.વ.૪૦)એ કરી હતી. જેની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.
તેણે એવી કબૂલાત આપી છે કે, શુભમ તોફાન કરતો હોવાથી તેને બેફામ મારકુટ કરી હતી. જેને કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યાર પછી તેની લાશ બોરીમાં નાંખી હતી. પરંતુ માથું સમાતું ન હોવાથી મટન કાપવાના ચપ્પાથી માથું ધડથી અલગ કરી નાંખ્યું હતું. આ પછી બાઇક ઉપર લાશ સાથેની બોરી અને માથું લઇ બેડીના પુલ નીચે નદીમાં ફેંકી દીધું હતું. ૨૦૧૮માં પોલીસને લાશ સાથેની બોરી મળી ન હતી. માત્ર માથું મળતાં બી.ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોએ માથું ૭થી લઇ ૧૪ વર્ષના બાળકનું હોવાનો અભિપ્રાય આપ્યો હતો. જે તે વખતે બી.ડિવિઝન પોલીસ સાથે ક્રાઇમ બ્રાંચ અને પોલીસની બીજી ટીમોએ ઘણી તપાસ કરી હતી. પરંતુ ભેદ ઉકેલાયો ન હતો. બીજી તરફ ૨૦૨૫ની સાલમાં એસઓજી અને એએચટીયુની ટીમો દ્વારા મળેલી બાતમીના આધારે મજૂરી માટે લવાયેલા ૨૧ પશ્ચિમ બંગાળના બાળકોને મુક્ત કરાવાયા હતા. જેમાંથી એક બાળકના ગુદાના ભાગે ગંભીર ઇજા મળી આવી હતી.
વધુ તપાસમાં પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાનો અજીતમૌલા આજમતમૌલા આ તમામ બાળકોને તેમના વાલીઓને માત્ર રૂા.૮ હજાર જેવી મામૂલી રકમ આપી મજૂરી કરવા સાથે લઇ આવ્યાનું ખુલ્યું હતું. તે આ બાળકો પાસેથી કાળી મજૂરી કરાવવાની સાથોસાથ તેમની ઉપર અમાનવીય અત્યાચાર પણ ગુજારતો હતો. તેમને બરાબર ખાવાનું પણ આપતો નહી. એક જ મકાનમાં ગોંધી રાખતો હતો. પહેરવા માટે પુરતા કપડા કે ચપ્પલ પણ આપતો ન હતો. જેના આધારે તેના વિરુદ્ધ બીએનએસ, ચાઇલ્ડ લેબર, ધ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ બોન્ડેડ લેબર સિસ્ટમ એક્ટ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
ક્રાઇમ બ્રાંચના એસીપી ભરત બસીયાએ તેની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં કોરોના સમયે શુભમની હત્યા કરી લાશ ફેંકી દીધાની કબૂલાત આપી હતી. કોરોના ૨૦૨૧ની સાલમાં હતો. તે સાલ ઉપરાંત તે પછીના વર્ષોમાં પોલીસે તપાસ કરી પરંતુ એકપણ મર્ડર અનડીટેક્ટ મળ્યું ન હતું. આ રીતે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ આખરે ક્રાઇમ બ્રાંચે ૨૦૧૮માં જે માથું મળ્યું હતું તેની હત્યા કર્યાનું સ્પષ્ટ થતાં તે માથું જેનું હતું તેવા શુભમના માતા-પિતાને ડીએનએ ટેસ્ટ માટે બોલાવ્યા હતા. પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે રાજકોટ આવવાનો ઇન્કાર કરતા તેમને ટીકીટ-ભાડુ વગેરે મોકલતા રાજકોટ આવી ડીએનએ સેમ્પલ આપ્યા હતા.
જેનો રીપોર્ટ ગઇ તા.૧૦મીએ આવતા માથું શુભમનું હોવાનું સ્પષ્ટ બન્યું હતું. આ રીતે ડીએનએ સેમ્પલ મેચ થતાં જ પોક્સોના ગુનામાં રાજકોટ જેલમાં બંધ અજીતમૌલાની આજે ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.
– બાળકો ઉપર અત્યાચાર અંગે પશ્ચિમ બંગાળમાં પણ ગુનો નોંધાયો હતો
રાજકોટ: ૨૦૨૫ની સાલમાં આરોપી અજીતમૌલાની ચુંગાલમાં રહેલા પશ્ચિમ બંગાળના ૨૧ બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા હતા. ૨૨મું બાળક કોઇપણ રીતે ભાગીને પશ્ચિમ બંગાળના વતનમાં પહોંચ્યું હતું. જ્યાં તેણે વાલીઓને આપવિતી કહેતા તેમણે પશ્ચિમ બંગાળ પોલીસમાં અજીતમૌલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તે વખતે અજીતમૌલા પોક્સોના ગુનામાં રાજકોટની જેલમાં બંધ હતો. જ્યાંથી તેનો પશ્ચિમ બંગાળની પોલીસે કબજો મેળવ્યો હતો. તપાસના અંતે તેને ફરીથી રાજકોટ જેલહવાલે કર્યો હતો. જ્યાંથી ક્રાઇમ બ્રાંચે આજે તેનો શુભમના મર્ડરના ગુનામાં કબજો મેળવી ધરપકડ કરી હતી.










