![]()
Indian Navy Oil Tanker Missile Operation: ભારતીય નૌકાદળે સંયુક્ત આરબ અમીરાત(UAE)ના ફુજૈરાહથી કોચી જઈ રહેલા તેલ ટેન્કરમાંથી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે દૂર કરીને મોટી દરિયાઈ દુર્ઘટના ટાળી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, 26 મેના રોજ ઓમાનના દરિયાકાંઠે MT ઓલિમ્પિક તેલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. અત્યંત ખતરનાક પરિસ્થિતિઓમાં ભારતીય નૌકાદળે એક ઉચ્ચ-જોખમી કામગીરી હાથ ધરી માત્ર વોરહેડ જ નહીં, પણ તેને સુરક્ષિત રીતે નિષ્ક્રિય પણ કર્યો.
શું છે સમગ્ર ઘટના?
આ ઘટના 26 મેના રોજ બની હોવાનું જણાય છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB)એ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને શુક્રવારે (12 જૂન, 2026) ટેન્કરની વિગતો અને ફોટા જાહેર કર્યા હતા. PIBના અહેવાલ મુજબ, માર્શલ આઇલેન્ડ્સ-ધ્વજવંદન કરાયેલુ ક્રૂડ ઓઇલ ટેન્કર ‘MT ઓલિમ્પિક લાઇફ’ સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહ બંદરથી કોચી તરફ જઈ રહ્યું હતું. જોકે, 26 મે, 2026ના રોજ ઓમાનના દરિયાકાંઠે જહાજમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, મિસાઇલ અથવા પ્રોજેક્ટઈલનું વોરહેડ જહાજના બાહ્ય ભાગમાં ઘૂસી ગયું અને તેના આંતરિક ભાગમાં પહોંચ્યું હતું. સદનસીબે તેનાથી વિસ્ફોટ થયો ન હતો.
ફ્યૂલ સ્ટોરેજ એરિયામાં ફસાયું હતું વોરહેડ
તપાસમાં જાણવા મળ્યું કે, મિસાઈલનું વોરહેડ જહાજના અનેક સ્તરોમાં ઘૂસી ગયું હતું અને સીધું ફ્યૂલ સ્ટોરેજ એરિયામાં ફસાઈ ગયું હતું, જ્યાં મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થો હતા. જો વોરહેડ સહેજ પણ સક્રિય થાત, તો સમગ્ર ટેન્કરમાં મોટો વિસ્ફોટ થવાની શક્યતા હતી. આમ જો આવું થયું હોત તો ક્રૂ સભ્યોના મોત થવાની સાથે સમુદ્રમાં મોટી પર્યાવરણીય આપત્તિ પણ સર્જાઈ હોત.
લાઈવ મિસાઈલથી 2000 કિમી મુસાફરી કરી
રિપોર્ટ મુજબ, આવી સ્થિતિમાંથી વિસ્ફોટક વોરહેડને સુરક્ષિત રીતે દૂર કરવું એ ખૂબ જ જોખમી કાર્ય હતું. એક નાની ભૂલ પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે તમે હતું. તેથી જહાજને લાઈવ મિસાઈલથી 2000 કિમી મુસાફરી કરવાની ફરજ પડી હતી.
નૌકાદળે કેવી રીતે પર પડ્યું ઓપરેશન?
માહિતી મળતાં, ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર – ઇન્ડિયન ઓશન રિજન (IFC-IOR) દ્વારા ભારતીય નૌકાદળને એલર્ટ મોકલવામાં આવ્યું હતું. આ પછી, કોચી સ્થિત સદર્ન નેવલ કમાન્ડે તેની નિષ્ણાત વિસ્ફોટક ઓર્ડનન્સ ડિસ્પોઝલ (EOD) ટીમને તૈનાત કરી હતી.
નેવીના એક્સપર્ટે પહેલા જહાજનું ડિટેઇલ મોનીટરીંગ કર્યું. ત્યારબાદ વોરહેડની સ્થિતિનું તબક્કાવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ઘણા દિવસો સુધી ચાલેલી પ્રક્રિયા પછી વોરહેડને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યું અને પછી સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું.
એક અઠવાડિયા ચાલ્યું મિશન
PIBના અહેવાલ મુજબ, નૌકાદળનું મિશન ફક્ત એક કે બે કલાક નહીં પરંતુ ઘણા દિવસો સુધી ચાલ્યું હતું. જેમાં નૌકાદળની નિષ્ણાત ટીમે ખાતરી કરવાની હતી કે, વોરહેડ દૂર કરવાથી જહાજ, ક્રૂ સભ્યો અથવા આસપાસના દરિયાઈ વિસ્તારને કોઈ નુકસાન ન થાય.










