![]()
વડોદરા,મકરપુરામાં દારૃનો નશો કરીને નીકળેલા કારચાલકે જશોદાનગર નજીક દીવાલમાં ગાડી અથાડી હતી. અકસ્માતમાં કારના કાચ તૂટી ગયા હતા. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.
ગઇકાલે રાત્રે સાડા દશ વાગ્યે મકરપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનથી મકરપુરા ગામ તરફ જવાના રસ્તા પર એક કારની આજુબાજુ લોકોનું ટોળું ઊભેલું હતું. પોલીસે નજીક જઇને તપાસ કરતા કારચાલક વિશાલ જ્યંતિભાઇ બુટાણી (રહે.શ્રી દર્શન સોસાયટી, માણેજા) દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર ચાલકથી મકરપુરા જશોદાનગરમાં દીવાલ સાથે ગાડી અથડાઇ જતા કાચ તૂટી ગયા હતા.
જ્યારે અન્ય એક બનાવમાં આજવારોડ પર દારૃના નશામાં કાર લઇને નીકળેલા કાર ચાલક દિપેશ સુરેશભાઇ પંજાબી, ઉં.વ.૩૦ (રહે. જનકનગર સોસાયટી, પૂનમનગરની બાજુમાં, આજવારોડ) તથા કારની પાછળની સીટ પર બેઠેલા જૈમીન મહેશભાઇ મિસ્ત્રી, ઉં.વ.૨૬ (રહે.શિવ બંગ્લોઝ, હરણી વારસિયા રિંગરોડ) સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










