![]()
ગાંધીનગરમાં તોલ-માપ વિભાગને મળ્યો અનામી ઈમેલ
સલામતીના કારણોસર સમગ્ર કેમ્પસ તાત્કાલિક ખાલી કરાવાયું ઃ સાયબર સેલ દ્વારા ઈમેલ ટ્રેસ કરવાની તજવીજ
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી અને મહત્વની સરકારી
કચેરીઓ ધરાવતી ઈમારત કર્મયોગી ભવન આજે બોમ્બની ધમકીને પગલે હચમચી ઉઠી હતી.
સેક્ટર-૧૦ સ્થિત આ ભવનના બ્લોક નંબર ૨માં કાર્યરત તોલ-માપ વિભાગની કચેરીને એક
અનામી ઈમેલ દ્વારા બિલ્ડિંગ ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને
સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી.
આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે આજે સવારે તોલ-માપ વિભાગના
સત્તાવાર ઈમેલ આઈડી પર એક સંદેશો આવ્યો હતો,
જેમાં બિલ્ડિંગમાં વિસ્ફોટ કરવાની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ
થતાં જ કચેરીમાં કામ કરતા કર્મચારીઓમાં ભારે ડરનો માહોલ ફેલાયો હતો. કોઈ પણ અપ્રિય
ઘટનાને ટાળવા માટે તકેદારીના ભાગરૃપે તાત્કાલિક ધોરણે તમામ બ્લોક અને કચેરીઓમાંથી
કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર કેમ્પસ ખાલી કરાવી દેવામાં આવ્યું
હતું. આ ધમકીની ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીનગર પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે
પહોંચી ગયો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા બિલ્ડિંગના દરેક માળ અને
ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. બીજી તરફ,
આ અનામી ઈમેલ કોણે મોકલ્યો છે તે જાણવા માટે પોલીસની સાયબર ક્રાઈમ ટીમ પણ
સક્રિય થઈ છે. ઈમેલનું આઈપી એડ્રેસ ટ્રેસ કરીને મોકલનાર સુધી પહોંચવાના પ્રયાસો
શરૃ કરવામાં આવ્યા છે. નોંધવું રહેશે કે આ અગાઉ ગાંધીનગરમાં કલેકટર કચેરી, સિવિલ હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ
સહિતની અન્ય સરકારી ઇમારતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇમેલ મળ્યા હતા. જેમાં હજી સુધી આરોપીઓ
પકડવામાં આવ્યા નથી ત્યારે આ કિસ્સામાં ઇમેલ કરનારા તત્વો ક્યારે પકડાશે તે જોવું
રહ્યું.










