![]()
PM Modi And Donald Trump : ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી 52મી G7 સમિટ દરમિયાન ભારત-અમેરિકાના સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 16 મહિનાના લાંબા અંતર બાદ દ્વિપક્ષીય મુલાકાત યોજાઈ હતી. આ હાઈપ્રોફાઈલ બેઠક દરમિયાન પીએમ મોદીએ તાજેતરમાં ઓમાન કોસ્ટ નજીક અમેરિકી સેનાની કાર્યવાહીમાં જીવ ગુમાવનારા 3 ભારતીય નાવિકોનો મુદ્દો અને સમુદ્રી સુરક્ષાની ચિંતાઓ ટ્રમ્પ સમક્ષ અત્યંત મજબૂતાઈથી ઉઠાવ્યો છે.
નાવિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા : પીએમ મોદી
બેઠક દરમિયાન પીએમ મોદીએ વૈશ્વિક દરિયાઈ વેપાર અને સુરક્ષા પર ભાર મૂકતા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને જણાવ્યું હતું કે, ‘આપણે હંમેશાં સ્વીકાર્યું છે કે, સમુદ્રમાં અવરજવરની આઝાદી પાકી હોવી જોઈએ અને આપણે આ બાબત પર ખાસ જોર આપવું પડશે. દરિયાઈ વેપારના ક્ષેત્રમાં વિશ્વના અલગ-અલગ સમુદ્રોમાં લાખો ભારતીય નાવિકો પોતાની સેવાઓ આપી રહ્યા છે. હું માનું છું કે તેમની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.’
ઈરાન કરાર અને હોર્મુઝ જળમાર્ગ પર ચર્ચા
વડાપ્રધાન મોદીએ મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના નેતૃત્વ અને પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો રાખવા અંગે વાત કરતા કહ્યું કે, ‘વૈશ્વિક અર્થતંત્ર માટે હોર્મુઝનું ખુલ્લું રહેવું અનિવાર્ય છે. મને પૂરો ભરોસો છે કે ઈરાન સાથે થનારા શાંતિ કરારમાં નાવિકોની સુરક્ષાની ગેરંટીને પ્રાથમિકતા આપવામાં આવશે.’
ટ્રમ્પે ભારતીયોના મોત પર શોક વ્યક્ત કર્યો
ઓમાન કાંઠે મૃત્યુ પામેલા 3 ભારતીય નાવિકોના મોત પર શોક વ્યક્ત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સામે કહ્યું કે, ‘મેં આ ઘટના વિશે સાંભળ્યું છે, આ ખૂબ જ મુશ્કેલ વ્યવસાય છે. તે લોકો પણ આપણને વહાલા હતા, તેઓ સારા માણસો હતા. અમે આ વિષય પર ભારત સાથે મળીને કામ કરી રહ્યા છીએ.’
‘મોદી છે ત્યાં સુધી અમેરિકા ભારતની સાથે ઊભું રહેશે’
અમેરિકી રાષ્ટ્રપ્રમુખએ ભારત સાથેના રક્ષણાત્મક સંબંધો પર એક મોટું વચન આપતા જાહેરાત કરી કે, ‘જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતા છે અને ભારત પર કોઈ દેશ હુમલો કરે છે, તો અમેરિકા ભારતની મદદ માટે ત્યાં હાજર રહેશે, ભલે આ અંગે અમારો કોઈ લેખિત કરાર ન હોય. કોઈ અન્ય નેતા હોત તો અમે કંઈ કહી શકત નહીં. જ્યાં સુધી હું રાષ્ટ્રપ્રમુખ છું, વ્હાઈટ હાઉસમાં ભારતીયોનો એક સાચો દોસ્ત હંમેશાં હાજર રહેશે.’
‘મોદી શાંત અને પ્રભાવશાળી નેતા, હું તેમના જેવો નથી’
જી7 સમિટના વર્કિંગ લંચ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તમામ દેશોના નેતાઓ સામે પીએમ મોદીના સ્વભાવ અને નેતૃત્વના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે હળવા અંદાજમાં કહ્યું કે, ‘પ્રધાનમંત્રી મોદી અત્યંત શાંત, સંયમિત અને જબરદસ્ત પ્રભાવશાળી નેતા છે, પરંતુ હું તેમના જેવો બિલકુલ નથી. તેઓ દેખાવામાં ખૂબ સારા અને શાંત છે, પરંતુ વાટાઘાટોમાં અત્યંત કડક છે.’
ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ
દ્વિપક્ષીય વાર્તાલાપ બાદ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે બિઝનેસ અંગે ખુલાસો કરતા કહ્યું કે, ‘અમે ભારત સાથે ટ્રેડ ડીલ કરી રહ્યા છીએ અને ઘણી બાબતો અંતિમ તબક્કામાં છે. અમેરિકામાં પીએમ મોદી ઘણું બધું પ્રોડક્શન કરાવી રહ્યા છે અને ઘણો પૈસો ખર્ચી રહ્યા છે, જેની અમે પ્રશંસા કરીએ છીએ.’ આ સાથે જ ટ્રમ્પે ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાની પણ જાહેરાત કરી હતી.
ઓબામા શાસનના ઈરાન કરારની ટ્રમ્પે કરી ટીકા
ટ્રમ્પે વર્ષ 2015 માં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન થયેલા ઈરાન પરમાણુ કરાર (JCPOA)ની આકરી આલોચના કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, ‘ઓબામા પ્રશાસને તે સમયે વિમાન ભરીને 1.7 બિલિયન ડૉલર કેશ સહિત અબજો ડોલર ઈરાનને આપીને તેને મોટો આર્થિક ફાયદો કરાવ્યો હતો, જે અમેરિકાના હિતમાં નહોતો. જો ઈરાન હવે અમારી શરતો પર નવી ડીલ સાઈન નહીં કરે, તો અમે તેના પર ફરી હુમલો કરીશું.’ જોકે, જી7 ના અન્ય દેશોએ વર્તમાન અમેરિકા-ઈરાન સમજૂતીની પ્રશંસા કરી હતી.
‘આઈ એમ ધ બોસ’ કહીને ટ્રમ્પે મજાક કરી
જી7 સમિટના વર્કિંગ સેશનમાં બુધવારે જ્યારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ થોડા મોડા પહોંચ્યા, ત્યારે તમામ દેશોના નેતાઓ તેમની તરફ જોઈ રહ્યા હતા. આ સ્થિતિ વચ્ચે ટ્રમ્પે થોડું ચાલીને રોકાઈ જતાં મજાકિયા અંદાજમાં કહ્યું કે, ‘આઈ એમ ધ બોસ.’ આ સાંભળીને ત્યાં હાજર 14 દેશોના તમામ વૈશ્વિક નેતાઓ હસી પડ્યા હતા.
સંસાધનોની નહીં, દુનિયામાં ભરોસાની કટોકટી: પીએમ મોદી
સમિટના એક આઉટરીચ સેશનમાં સંબોધન કરતી વખતે પીએમ મોદીએ વિશ્વ સમક્ષ મોટું નિવેદન આપતા કહ્યું કે, ‘આજે દુનિયા સંસાધનોની અછતથી નહીં, પરંતુ પરસ્પર ભરોસાના સંકટથી ઝઝૂમી રહી છે.’ આ બેઠકમાં પીએમ મોદી યુએસ પ્રેસિડેન્ટની બરાબર બાજુની સીટ પર બેઠા હતા.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે પણ મોટી ડીલ ફાઈનલ
જી7 સમિટની વચ્ચે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વૉન ડેર લેયેન સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ઉર્સુલાએ જાહેરાત કરી કે ભારત અને ઈયુ (EU) વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ની વાટાઘાટો પૂરી થઈ ગઈ છે અને આ વર્ષના અંત સુધીમાં બંને પક્ષો આ ઐતિહાસિક વેપાર કરાર પર સત્તાવાર હસ્તાક્ષર કરી દેશે.










