જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મેઘરાજાએ આ વખતે ધમાકેદાર બેટિંગ કરી છે. પ્રથમ વરસાદી રાઉન્ડમાં જ અંદાજે 38 ઈંચ જેટલો વરસાદ નોંધાતા સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા.
અતિભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
નદીઓ અને નાળાઓ છલકાઈ જતા જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણીનું દૃશ્ય જોવા મળ્યું હતું. સતત ત્રણ દિવસ સુધી વરસેલા વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી હતી.
માંગરોળને વેરાવળ સાથે જોડતો તેમજ પોરબંદરથી સોમનાથ તરફ જતો નેશનલ હાઇવે-51 પર હુસેના બાદ નજીક આવેલા પુલ પરથી પાણી ફરી વળતા માર્ગને ભારે નુકસાન થયું હતું. માર્ગ અસુરક્ષિત બનતા સંબંધિત ઓથોરિટી દ્વારા હાઇવેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો.
ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ, NDRF સહિતની તમામ ટીમો સતત ખડેપગે રહી કામગીરી કરતી જોવા મળી હતી.
આ વિકટ પરિસ્થિતિ વચ્ચે માનવતાનું સુંદર ઉદાહરણ પણ જોવા મળ્યું. જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાયા હતા ત્યાં સ્થાનિક લોકોએ સ્વયં આગળ આવી પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી અને તંત્રને પૂરતો સહયોગ આપ્યો હતો.
બીજી તરફ ભારે વરસાદના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. કેટલીક જગ્યાએ પાણીની લાઇન માટે ખોદકામ કર્યા બાદ માત્ર માટી નાખવામાં આવી હતી, જેના કારણે ભારે વરસાદમાં ધોવાણ થતાં અનેક વાહનો ફસાઈ જવાના બનાવો પણ સામે આવ્યા હતા.
હાલ મેઘરાજાએ વિરામ લેતા માંગરોળના લોકોને થોડો રાહતનો શ્વાસ મળ્યો છે. જોકે તંત્ર હજુ પણ સતર્ક છે અને નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.
બ્યુરો રિપોર્ટ નિતિન પરમાર માંગરોળ જુનાગઢ







