વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, વલ્લભીપુર દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૯મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે જનસેવાના ઉમદા હેતુથી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નિયામકશ્રી આયુષ કચેરી, ગાંધીનગર તથા સર તખતસિંહજી સર્ટી હોસ્પિટલ બ્લડ બેન્ક, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વલ્લભીપુર ખાતે બ્રહ્માકુમારી સેન્ટર, પ્લોટ નં. ૨, શ્રી વીલા સોસાયટી, પાંજરાપોળની સામે, હાઈવે રોડ ખાતે યોજાયેલા આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થાય અને અમૂલ્ય જિંદગીઓ બચાવી શકાય તેવા હેતુથી સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓમાં સેવાભાવ અને માનવતાની ભાવના જોવા મળી હતી.
આ ઉપરાંત, નિયામકશ્રી આયુષ કચેરી, ગાંધીનગરની સૂચના તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, ભાવનગરના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથી દવાખાનું, આણંદપર દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ નિઃશુલ્ક નિદાન અને હોમિયોપેથી સારવારનો લાભ લીધો હતો. તેમજ આરોગ્યલક્ષી આઈ.સી. પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પ દરમિયાન સરકારી હોમિયોપેથી દવાખાના, આણંદપરના મેડિકલ ઓફિસર ડો. લાલજીભાઈ એસ. ગોહિલે પોતાની ફરજ બજાવી હતી.
કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા જનરલ ચેકઅપ, ડાયાબિટીસ ચેકઅપ, હાર્ટ ચેકઅપ, શ્વાસરોગ નિદાન, હાડકાં-સાંધાની તપાસ, પેટ તથા પાચનતંત્રની તપાસ અને આંખોની તપાસ સહિતની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લોકોને આપવામાં આવ્યો હતો. જરૂરિયાત મુજબ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બ્રહ્માકુમારી બહેન દેવિકાબેન તથા આયોજકોએ જણાવ્યું હતું કે, “રક્તદાન એ મહાદાન છે.” સ્વસ્થ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું રક્તદાન અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી બની શકે છે. રક્તદાન સાથે નિઃશુલ્ક આરોગ્ય નિદાન અને સારવારની સેવાઓ ઉપલબ્ધ કરાવીને આ સમગ્ર કાર્યક્રમ દ્વારા જનસેવા તથા માનવતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સેવાકીય કાર્યક્રમમાં ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતશ્રી, વલ્લભીપુર શહેરના પ્રમુખશ્રી નામદેવસિંહ પરમાર, ભારતીય જનતા પાર્ટી વલ્લભીપુર શહેરના પ્રભારીશ્રી શિલ્પાબેન ડાભી, માજી પ્રમુખશ્રી વશરામભાઈ આહિર, વલ્લભીપુરના એડવોકેટ સોહમભાઈ ત્રિવેદી, વલ્લભીપુરના અગ્રણી શ્રી કિશોરસિંહ ઘેલડા, શ્રી વીલા સોસાયટીના પ્રમુખશ્રી રામભાઈ આહિર, શ્રી કિશોરસિંહ ગોહિલ તેમજ વલ્લભીપુર શહેરના તમામ પદાધિકારીઓ અને સેવાભાવી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિથી સમગ્ર સેવાકીય કાર્યક્રમને પ્રોત્સાહન મળ્યું હતું તથા સમાજમાં જનસેવા અને માનવતાના કાર્યને વધુ વેગ મળ્યો હતો.
કેમ્પમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનું આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ તેમને પ્રસાદી અને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારીઝના કાર્યકરો, તબીબો, આરોગ્ય વિભાગની ટીમ, બ્લડ બેન્કની ટીમ તથા સેવાભાવી કાર્યકરોએ નોંધપાત્ર સેવા આપી હતી.
આ સમગ્ર સેવાકીય આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારીઝ બી.કે. દેવિકાબેન તથા બી.કે. પ્રાપ્તિબેનના માર્ગદર્શન સાથે સેવાધારી વિરેન્દ્રસિંહ ચૌહાણ, વિપુલસિંહ સોલંકી, કરશનભાઈ મકવાણા, વનરાજસિંહ સોલંકી અને નિકુંજભાઈ લંગાળીયાએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. તમામ સેવાધારીઓએ નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ અર્પણ કરી કેમ્પને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.







