![]()
અમદાવાદ : તાજેતરમાં, ભારતને બે મોટા હકારાત્મક પરિબળો મળ્યા છે. ટુંક સમયમાં જીએસટી દરમાં ફેરફાર અને એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ દ્વારા ભારતનું લાંબા ગાળાનું સોવરિન ક્રેડિટ રેટિંગ સુધારવામાં આવ્યું છે, જે રોકાણ ગ્રેડથી એક સ્તર ઉપર છે અને આઉટલુકને પણ ‘સ્થિર’ રાખવામાં આવ્યો છે. પરંતુ નિષ્ણાતો માને છે કે આ પરિબળોથી વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં તાત્કાલિક પાછા ફરશે એવું દેખાતું નથી.
બજારના નિષ્ણાતો કહે છે કે વિદેશી રોકાણકારોનું વાસ્તવિક વળતર ત્યારે જ થશે જ્યારે કંપનીઓની કમાણી (કોર્પોરેટ કમાણી) સુધરશે અને નીતિગત વાતાવરણ સ્થિર હશે, પછી ભલે તે ભારતમાં હોય કે વૈશ્વિક સ્તરે (જેમ કે ટેરિફ મુદ્દો).
જીએસટી પર સરકારના નવા સુધારાના સંકેતોથી બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે, પરંતુ વાસ્તવિક પરિવર્તન ત્યારે આવશે જ્યારે કંપનીઓનો નફો વધશે. સતત અને મજબૂત તેજી ત્યારે જ શક્ય છે જ્યારે કમાણીમાં સુધારો સ્પષ્ટપણે દેખાય.
NSDLના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં લગભગ ૧.૧૭ લાખ કરોડ ભારતીય શેર વેચ્યા છે. જાન્યુઆરી ૨૦૨૫માં સૌથી મોટું વેચાણ જોવા મળ્યું હતું, જે લગભગ ૭૮,૦૦૦ કરોડ હતું. ઓગસ્ટ સુધીમાં પણ, તેઓએ ૨૨,૨૦૦ કરોડના શેર વેચી દીધા હતા.
પ્રવર્તમાન સમયે વિદેશી રોકાણકારો ઉભરતા બજારો તરફ જોઈ રહ્યા છે, કારણ કે યુએસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત તેજીએ ત્યાંના શેર ખૂબ મોંઘા બનાવી દીધા છે.
ભારત પાછલા ક્વાર્ટરમાં થોડું નબળું રહ્યું છે, પરંતુ ૨૦૨૫-૨૬ના બીજા ભાગમાં સરકાર તરફથી વધુ નીતિગત નિર્ણયો આવી શકે છે અને તહેવારોની મોસમ અને રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં ઘટાડાને કારણે કંપનીઓની કમાણીમાં સુધારો થઈ શકે છે. લાંબા ગાળા માટે વિદેશી રોકાણકારો માટે રેટિંગ અપગ્રેડ સકારાત્મક છે, પરંતુ ટેરિફની (આયાત ડયુટી) પરિસ્થિતિ હાલમાં સૌથી મોટું જોખમી પરિબળ છે.
નિષ્ણાતો કહે છે કે જો કોઈ ટેરિફ સંબંધિત નિર્ણય ભારતીય શેરોમાં ઘટાડો લાવે છે, તો તેને લાંબા ગાળાની ખરીદીની તક ગણવી જોઈએ.










