![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર યુ ડી પટેલે તૈયાર કરેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી ગામડાઓમાં ગટરના પાણીના શુધ્ધિકરણની સમસ્યાનો કાયમી ધોરણે હલ આવી શકે તેમ છે.
પ્રો.પટેલના આ પ્લાન્ટને પાયલોટ પ્રોજેકટ તરીકે પાદરા ઈન્ડસ્ટ્રિઝ એસોસિએશનની સહાયથી અને એન્વાર્ટમેન્ટ એક્ટિવિસ્ટ રોહિત પ્રજાપતિની મદદથી પાદરા તાલુકાના લુણા ગામમાં સ્થાપવામાં આવ્યો હતો. આ પ્લાન્ટની ક્ષમતા રોજ એક લાખ લિટર પાણીને ૯૦ ટકા સુધી ટ્રીટ કરવાની છે.પાયલોટ પ્રોજેકટની સફળતા બાદ સરકારની ડિસ્ટ્રિકટ રુરલ ડેવલપમેન્ટ એજન્સીએ અન્ય ગામડાઓમાં પણ ૨૦૦૦૦ થી ૩૦૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતા ૧૬ પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે.
પ્રો.પટેલ કહે છે કે, હું અને બીજા વિદ્યાર્થીઓ ૧૦ વર્ષથી આ પ્લાન્ટ પર લેબોરેટરીમાં કામ કરી રહ્યા હતા.મોટાભાગના ગામડાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી હોતા.ગંદુ પાણી તળાવમાં કે બીજી જગ્યાએ છોડી દેવામાં આવે છે.કારણકે પરંપરાગત સુએઝ પ્લાન્ટ સ્થાપવાનો ખર્ચો ઘણો વધારે હોય છે અને તેને ચલાવવા માટે ટેકનિકલ જાણકારી ધરાવતા વ્યક્તિની જરુર પડે છે.જોકે અમે ડિઝાઈન કરેલા પ્લાન્ટના કારણે આ બંને અવરોધો દૂર થઈ શકે છે.આ સંશોધન માટે પ્રો.પટેલને તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય સરકારે ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ આપીને સન્માનિત કર્યા છે.
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફાયદા
પરંપરાગત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરતા માત્ર ૧૦મા ભાગની વીજળી વાપરે છે
સંચાલન માટે ટેકનિકલ જાણકારી ધરાવતા વ્યક્તિની જરુર નથી
પ્લાન્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનું પણ શક્ય છે
પ્લાન્ટ બનાવવાનો ખર્ચ પણ પરંપરાગત પ્લાન્ટ કરતા ઘણો ઓછો છે
ગટરના પાણીને ૯૦ ટકા સુધી શુધ્ધ કરી શકે છે
શુધ્ધ થયેલા પાણીનો ઉપયોગ ખેતરમાં પણ થઈ શકે છે
ઉદ્યોગોનું પાણી શુધ્ધ કરવા માટે પણ અખતરા
પ્રો.પટેલ અને સંશોધકોની ટીમ અત્યારે આ જ પ્લાન્ટનો ઉપયોગ ઉદ્યોગોના દૂષિત પાણી ટ્રીટ કરી શકાય કે નહીં તેના પર કામ કરી રહી છે.તેઓ કહે છે કે, ઉદ્યોગોના દૂષિત પાણીમાં પણ સીઓડી અને બીઓડીનું પ્રમાણ વધારે હોય છે.અત્યાર સુધી અમે જે પણ અખતરા કર્યા છે તેનું પ્રાથમિક પરિણામ ઉત્સાહજનક છે.
પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે?
એરોબિક પ્રકારના બેકેટરીયાવાળા સ્પોન્જના ૬ લેયરમાંથી ગટરનું પાણી પસાર થાય છે
પ્રો.પટેલના જણાવ્યા અનુસાર આ પ્લાન્ટમાં સૌથી મોટો રોલ એરોબિક હિસ્ટ્રોફિક પ્રકારના બેકટેરિયાનો છે. સોફા અને સીટમાં ગાદી તરીકે વપરાતા સ્પોન્જ પર આ બેકટેરિયાની પરત લગાવવામાં આવે છે.સ્પોન્જના આવા ૬ લેયર તૈયાર કરવામાં આવે છે.જેના માટે ફળોની ખાલી લાકડાની ક્રેટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ૬ લેયરમાંથી ગટરનું પાણી પસાર કરવામાં આવે છે.ગટરના પાણીમાં સીઓડી( કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ) અને બીઓડી( બાયો ઓક્સિજન ડિમાન્ડ) સૌથી વધારે હોય છે.આ બેકટેરિયા સીઓડી અને બીઓડીનો ખોરાક તરીકે ઉપયોગ કરીને તેને ડિગ્રેડ કરી નાંખે છે. બેકટેરિયાને ઓક્સિજનની જરુર પડતી હોય છે.આ માટે અમે લાકડાના ક્રેટમાં કાણા રાખ્યા છે.જેમાંથી હવા પ્રવેશે છે.આમ પ્લાન્ટમાં બ્લોઅરથી હવા દાખલ કરવાની જરુર પડતી નથી.જેનાથી પ્લાન્ટ ચલાવવા માટે વીજળીની ખપત સાવ ઓછી થાય છે.ઉપરાંત સ્પોન્જના કારણે તેના પર લાગેલા બેક્ટેરિયા શુધ્ધ થઈ રહેલા પાણીમાં પણ ભળતા નથી.










