![]()
Parliament Budget Session : સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે હોબાળો ચાલી રહ્યો હોવાના કારણે હજુ પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પણ ચર્ચા શરુ થઈ શકી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5.00 કલાકે અભિભાષણ પર ચર્ચા કરવાના હતા, જોકે વિપક્ષ દ્વારા સતત હોબાળો થવાના કારણે વડાપ્રધાનનું સંબોધન ટળી ગયું છે. આ સાથે પીઠાસીન અધિકારી સંધ્યા રાયે કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દીધી છે.
પુસ્તકો પર વિવાદ : વિપક્ષી સભ્યો બેનરો સાથે વેલમાં ધસી આવ્યા
પીઠાસીન અધિકારી સંધ્યા રાયે સાંજે 5 વાગ્યે જ્યારે ગૃહ શરુ કર્યું ત્યારે વિપક્ષી સભ્યો બેનરો સાથે વેલમાં ધસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર શરુ કર્યા હતા. અગાઉ, બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ નહેરુ પરિવાર પર નિશાન સાધતા અનેક પુસ્તકો લહેરાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘હું એવા પુસ્તકો વિશે વાત કરવા માંગુ છું જે નહેરુ પરિવારની ગદ્દારી, મક્કારી અને ભ્રષ્ટાચારના કિસ્સાઓથી ભરેલા છે.’ તેમણે એડવિના-નહેરુના કિસ્સાઓ, સોનિયા ગાંધીના 10 વર્ષના શાસન અને ઇન્દિરા ગાંધી પરના પુસ્તકો બતાવ્યા હતા. આ દરમિયાન વિપક્ષી સભ્યોએ પીઠાસીન અધિકારી તરફ કાગળના ટુકડા ફેંક્યા હતા.
વિપક્ષના હોબાળાથી સ્પીકર નારાજ
સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના હોબાળા પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, ‘વિરોધનો એક રસ્તો હોય છે, તે શબ્દો અને તર્કોથી થાય છે. તમે શાસનને મજબૂર ન કરી શકો. સભાગૃહનું જેટલું અપમાન કરશો, તે દેશ જોઈ રહ્યો છે.’
રાજ્યસભામાં ખડગેના આકરા પ્રહાર
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભામાં નિશિકાંત દુબે દ્વારા પુસ્તકો લહેરાવવાના મુદ્દે ટીકા કરતાં કહ્યું કે, ‘બીજા ગૃહમાં દેશના નિર્માણમાં યોગદાન આપનારા મહાન નેતાઓની નિંદા કરવામાં આવી છે, પુસ્તકો બતાવવામાં આવ્યા છે, અમે તેની નિંદા કરીએ છીએ.’ ખડગેએ ભાજપ પર ખોટી રાજનીતિનો આરોપ લગાવતા કહ્યું કે, ‘ભાજપના પ્રવક્તા બનવાની લાયકાત જ એ છે કે કોણ કયા વર્ગ વિરુદ્ધ કેટલું ઝેર ઓકી શકે છે.’ તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતાં ઉમેર્યું કે, ‘વાસ્કો ડી ગામાના પ્રવાસ સમયનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આપણા વડાપ્રધાનને મણિપુર પહોંચતા બે વર્ષ લાગી ગયા.’
આ પણ વાંચો : 17 શહેરોમાં 20 નવી ટ્રેનો શરૂ, જુઓ તમામ રૂટોની યાદી
સંઘ-ભાજપે મહિલાને નેતૃત્વ આપ્યું નથી : ખડગે
ખડગેએ વધુમાં આરોપ લગાવ્યો કે, ‘મહિલાઓને માત્ર વોટબૅંક તરીકે ઉપયોગમાં લેવાય છે. સંઘ કે ભાજપે 100 વર્ષમાં ક્યારેય કોઈ મહિલાને નેતૃત્વ આપ્યું નથી.’ જેપી નડ્ડાએ ખડગેના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે, ‘તમે બીજા ગૃહની વાત અહીં ન કરી શકો, તે રૅકોર્ડ પર જશે નહીં.’ ત્યારબાદ કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો.
ગૃહમાં અમેરિકન ડીલની પણ ચર્ચા
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર નિવેદન આપતાં આશ્વાસન આપ્યું કે, ‘આ ડીલમાં ભારતના સંવેદનશીલ ક્ષેત્રોનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમેરિકાએ ભારત પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે.’ આ મુદ્દે જેપી નડ્ડાએ સ્પષ્ટતા કરી કે ગોયલ બીમાર હોવા છતાં લોકસભામાં નિવેદન આપવા આવ્યા હતા, પરંતુ ગૃહ ન ચાલતા ત્યારબાદ રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું.
રાહુલ ગાંધીના પ્રહાર
બીજી તરફ રાહુલ ગાંધીએ જનરલ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘પુસ્તકમાં લખ્યું છે કે પીએમ મોદીએ સંરક્ષણ મંત્રીને કહ્યું કે જે યોગ્ય લાગે તે કરો. મને નથી લાગતું કે વડાપ્રધાન આજે સંસદમાં આવવાની હિંમત કરી શકશે.’ વધુમાં, લોકસભા સ્પીકરની ઑફિસમાં પણ સત્તાધારી અને વિરોધ પક્ષના સભ્યો વચ્ચે પુસ્તકોને લઈને ઉગ્ર દલીલો થઈ હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો : ફ્લાઈટના એન્જિનમાં આગ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ










