![]()
National News: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં બુધવારની સાંજે દર્દનાક દુર્ઘટના સર્જાઇ છે. રોજા રેલવે સ્ટેશન પાસે આવેલા માનવ રહિત રેલવે ક્રોસિંગને પાર કરતી વેળાએ બાઇક સવાર લોકો ગરીબ રથ એક્સપ્રેસની ચપેટમાં આવી ગયા હતા. રેલવેની ટક્કર એટલી ભીષણ હતી કે બે બાળકો સહિત પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.
હાજર લોકો હેબતાઈ ગયા
અકસ્માત એટલો ભયાવહ હતો કે હાજર લોકોના કાળજા કંપી ઉઠયા હતા. મૃતકોના શરીરના ટુકડાઓ રેલવે ટ્રેક પર પડ્યા હતા. સૂચના મળતા જે સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોની ઓળખ 40 વર્ષીય હરિઓમ, તેમના સાળા સેઠ પાલ, વિકન્ના નિગોહી (શાહજહાંપુર) ના રહેવાસી, સેઠ પાલના 35 વર્ષીય પત્ની પૂજા અને તેમના બે બાળકો તરીકે થઈ છે. તેમણે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
પરિવાર શોક મગ્ન
મળતી માહિતી અનુસાર આ બધા લોકો શાહજહાંપુરના બુધ બજારમાં ખરીદી માટે ગયા હતા. જ્યાંથી લખીમપુર પરત ફરતા હતા ત્યારે સાંજે 6:18 વાગ્યે માનવરહિત રેલવે ક્રોસિંગ પર ગરીબ રથ એક્સપ્રેસની અડફેટે આવી ગયા હતા. મૃતકોની ઓળખ માટે હરિઓમના પિતા લાલારામ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમના દીકરા અને સંબંધીઓના મૃતદેહો જોઈ પડી ભાગ્યા હતા. પરિવાર હાલ શોક મગ્ન થઈ ગયો છે. સમગ્ર દુર્ઘટના અંગે રેલવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ રાહુલ-સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, PM મોદીને પણ મળવાની ઈચ્છા










