![]()
| પ્રતિકાત્મક તસવીર |
Ahmedabad Over bridges : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 16 ઓવરબ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ પરથી ભારે વાહનો પસાર ન થયા તે માટે AMC દ્વારા રિસ્ટ્રીક્ટેડ હાઇટ બેરિયર લગાવાશે. આમ તમામ 16 બ્રિજ પર રૂ. 2.49 કરોડના ખર્ચે બેરિયર લગાવવાની કામગીરી કરવામાં આવશે.
ટ્રાફિકમાં થશે રાહત: ઓવરબ્રિજ પર હાઈટ બેરિયર્સ મુકાશે
શહેરમાં ભારે વાહનોના અનિયંત્રિત પ્રવેશને અટકાવવા અને બ્રિજને નુકસાન થતું રોકવા માટે હાઈટ બેરિયર્સ (ઊંચાઈ પ્રતિબંધક) મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જે 16 બ્રિજનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, તે સર્વે રિપોર્ટના આધારે પ્રાથમિકતા નક્કી કરવામાં આવશે.
જે બ્રિજ પર પીક અવર્સ (વ્યસ્તતમ સમયગાળા) દરમિયાન સૌથી વધુ ટ્રાફિકનું ભારણ નોંધાયું હશે, તેના પર સૌપ્રથમ હાઈટ બેરિયર્સ મૂકવાની કામગીરી હાથ ધરાશે. ત્યાર બાદ, ટ્રાફિકની જરૂરિયાત અને ભારણના ક્રમ અનુસાર તબક્કાવાર અન્ય બ્રિજ પર પણ હાઈટ બેરિયર્સ મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી બ્રિજ પર મોટા અને ભારે વાહનોનો પ્રવેશ અટકશે, જે ટ્રાફિકને નિયંત્રિત કરવામાં અને બ્રિજની સુરક્ષા જાળવવામાં મદદરૂપ થશે.
રોડ કમિટીના ચેરમેને શું કહ્યું?
AMCના રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના જૂના બ્રિજો પરથી ટ્રક સહિતના ભારે વાહનોની અવર-જવરને પગલે બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવા મામલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. નદી ઉપરના જૂના બ્રિજ, રેલવે બ્રિજ તેમજ ફ્લાય ઓવર બ્રિજ ઉપર બેરિયર લગાવવામાં આવશે. બ્રિજ પરથી પસાર થતાં લોડિંગ વાહનોને ધ્યાનમાં રાખીને બેરિયર લગાવવાની કામગીરી હાથ ધરાશે. જેને લઈને હાલ બિડ મુજબ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદના સાયન્સ સિટીના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, ફસાયેલા 50થી વધુ લોકોનો બચાવ કરાયો
16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે
AMC દ્વારા શહેરના 16 બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ પરથી ભારે અને ઓવરલોડેડ વાહનો પરિવહન ન કરે તે માટે હાઇટ બેરિયર લગાવવામાં આવશે. તેમજ બ્રિજની લોડિંગ વહન કરવાની ક્ષમતા દર્શાવતા ડિઝાઈન કેપસિટી અંગેના ઈન્ફોરમેટરી સાઈન બોર્ડ લગાવાશે. તંત્રએ આ બ્રિજનું લિસ્ટ જાહેર કર્યુ છે.










