![]()
National News: હમરા બિહાર મેં..કંઈ પણ થઈ શકે છે, ગમે ત્યારે પુલ પડી શકે છે, ગમે ત્યારે નિર્માણાધીન બિલ્ડિંગ તો હવે રોપ વે, નીતિશ સરકાર વિકાસની ગુલબાંગો હાંકી રહી છે પણ વાસ્તવિકતા હવે લોકોના આંખે વળગીને ચોંટે છે. આજે બિહારના રોહતાસમાં રોપવે ટ્રાયલ રન દરમિયાન જ તૂટી પડતાં તેના કામકાજ આને ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સદનસીબે રોપ વેના ટ્રાયલ રનમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી પણ જો આ ટ્રાયલ રન સફળ રહ્યું હોત તો નવા વર્ષમાં લોકો માટે ખુલ્લો મૂકવાનો હતો. જે મોટી દુર્ઘટનાને નોતરું હતું તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
પહેલા કોળિયામાં જ માખી
રોહતાસમાં પ્રાચીન રોહતાસગઢ કિલ્લા અને રોહિતેશ્વર ધામ મંદિર સુધી પહોંચવાની સુવિધા માટે આ રોપવે બનાવવામાં આવ્યો છે. જેનું બાંધકામ 12 ફેબ્રુઆરી, 2020ના રોજ શરૂ થયું હતું. શરૂઆતમાં, રોપવેમાં ઘણી તકનીકી ખામીઑ આવી હતી. તમામ મુશ્કેલીઓ દૂર કર્યા પછી, રોપવેનું કામ પૂર્ણ થયું હતું. પણ ટ્રાયલ રન પૂર્ણ થાય તે પહેલાં જ તેના ઘણા થાંભલા તૂટી પડ્યા. કહી શકાય કે મુહૂર્તના પહેલા કોળિયામાં જ માખી આવી છે. રોપ વે તૂટી પડવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વર્ષોની મહેનત પર પાણી ફર્યું, કરોડો સ્વાહા
ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું? પણ અહીં આ ઘટના કુદરત સર્જિત નથી પણ માનવ સર્જિત છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ પુલની ગુણવતા કેવી હશે તે વિચારો, આશરે 60 કિલોમીટરનું અંતર થોડી મિનિટોમાં કાપવાની યોજના, અંદાજિત 13 કરોડનો ખર્ચ, 5 વર્ષ નિર્માણ, બધુ જ પાણીમાં, બિહારમાં વર્ષોથી નીતિશ સરકારનું રાજ છે. આ પહેલી ઘટના નથી જ્યાં કાચા કામને કારણે અઘટિત ઘટના ઘટી હોય, આ પહેલા નિર્માણાધીન પુલ ધસી પડ્યો હતો. શું નીતિશ સરકાર કોન્ટ્રાકટરને મનફાવે તેમ નિર્માણ કરવા છુટોદાર આપી રહી છે. કેમ બિહારમાં જ આવી ઘટનાઓ વારંવાર ઘટે છે. લોકો કહી રહ્યા છે કે સરકારની નિયતમાં જ ખોટ છે, જેના કારણે કોન્ટ્રાકટરો બસ સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છે. કેવું અને કેટલું ચાલશે એ બધુ ભગવાન ભરોસે!
ભ્રષ્ટાચારનો આરોપ
આશરે 1324 મીટર લાંબા આ રોપવેમાં 5 ટાવર છે. કેટલાક ટાવરનો ઢાળ 40 ડિગ્રી છે. આ રોપવે ખુલવાથી, આશરે 1400 ફૂટની ઊંચાઈ પર સ્થિત રોહતાસગઢ પહોંચવું સરળ હતું. પહેલા લોકોને ત્યાં પહોંચવા માટે 60 કિલોમીટરની સફર કરવી પડી હતી અથવા તો ચાલીને જવું પડતું હતું. આશા હતી કે નવા વર્ષમાં રોહતાસગઢ કિલ્લા અને રોહિતેશ્વર ધામ મંદિર પહોંચવા સારી સુવિધા મળશે પણ હવે વર્ષોની મહેનત પર પાણી ફરી ગયું છે. સ્થાનિકો રોપ વેના કામમાં ભ્રષ્ટાચારના આરોપો જડી રહ્યા છે.










