![]()
Amreli News: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દેવળા ગામમાં આજે એક અત્યંત ભયાનક અને આકસ્મિક ઘટના બની હતી. ગામના બસ સ્ટેન્ડ નજીક અચાનક મધમાખીઓના ઝુંડે આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ હુમલામાં બસ સ્ટેન્ડ પાસે ઉભેલા 6 જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
શું હતી સમગ્ર ઘટના?
પ્રાથમિક વિગતો મુજબ દેવળા ગામના બસ સ્ટેન્ડ નજીક મુસાફરો અને ગ્રામજનોની અવરજવર હતી. આ દરમિયાન અચાનક હજારોની સંખ્યામાં મધમાખીઓનું એક ઝુંડ ઉડીને આવ્યું હતું અને ત્યાં હાજર લોકો પર હુમલો કરી દીધો હતો. લોકો કંઈ સમજે એ પહેલા જ ઝેરી મધમાખીઓ શરીર પર વળગી પડતા લોકો જીવ બચાવવા આમ-તેમ દોડવા લાગ્યા હતા.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર
આ હુમલામાં કુલ 6 વ્યક્તિઓ મધમાખીઓના અસંખ્ય ડંખને કારણે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર
ગામમાં ફફડાટ અને ચિંતા
જાહેર સ્થળ પર બનેલી આ ઘટનાને પગલે આખા દેવળા ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે શાંત ગણાતા આ વિસ્તારમાં કુદરતી રીતે ત્રાટકેલી મધમાખીઓએ સૌને ચોંકાવી દીધા છે. હાલમાં ગ્રામજનો દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે જેથી ફરી આવી કોઈ દુર્ઘટના ન બને.








