![]()
National News: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોડીન સીરપ કૌભાંડ અને ‘વંદે માતરમ’ના નારા અંગે વિપક્ષને ધારદાર અંદાજમાં ઘેર્યું હતું. તેમને પુરાવાઓ ટાંકીને આરોપ મૂક્યો હતો કે સીરપ દાણચોરીના કેસના મુખ્ય આરોપીઓ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હતા, જે કોઈ ગુનેગાર હશે તેમણે છોડવામાં નહીં આવે એટલી કડક કાર્યવાહી કરીશું કે તેમને (સપાના સભ્યો) ‘ફાતિહા પઢવાને લાયક પણ નહીં રહે’, આ ઉપરાંત CM યોગીએ વંદે માતરમ અને તુષ્ટિકરણ મુદ્દે કોંગ્રેસને રોકડું પરખાવ્યું હતું.
સમાજવાદી પાર્ટીએ લાઇસન્સ ઈસ્યુ કર્યું હતું
આજે (22 ડિસેમ્બર)ના રોજ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોડીન સીરપ કેસ અને રાષ્ટ્રીય ગૌરવના મુદ્દાઓ પર વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો સાથે ગૃહમાં દાવો કર્યો હતો કે કોડીન સીરપની ગેરકાયદેસર હેરાફેરીમાં અમિત યાદવ જેવા આરોપીઓ સમાજવાદી પાર્ટીના પદાધિકારી છે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે UP પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક હજારથી વધુ પુરાવો એકત્રિત કરી કડક કાર્યવાહી કરી છે. આરોપીઓને સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન લાઇસન્સ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. સંબોધનમાં ‘વંદે માતરમ’ના અંશને દૂર કરવાના નિર્ણયને તુષ્ટિકરણનું પ્રથમ સત્તાવાર ઉદાહરણ ગણાવ્યું હતું અને અને વિરોધ કરનારાઓ માફીની માંગણી કરી હતી.
અમિત યાદવની દુબઈ યાત્રાનો ઉલ્લેખ
મુખ્યમંત્રી યોગીએ ગૃહમાં અમિત યાદવનો ફોટો બતાવતા પૂછ્યું હતું કે શું તેઓ વારાણસી કેન્ટથી સપાના ઉમેદવાર ન હતા. તેમણે આરોપ લગાવ્યો કે અમિત યાદવ 2024માં મુખ્ય આરોપી શુભમ જયસ્વાલના પૈસાથી દુબઈ યાત્રા પર ગયા હતા. તેમણે મનોજ યાદવ, રાજીવ યાદવ અને મુકેશ યાદવ જેવા નામોનો ઉલ્લેખ કરી દાવો કર્યો હતો કે આ બધા નકલી કંપનીઓ બનાવીને ગેરકાયદેસર ધંધાઓમાં ભળેલા છે. સાથે તંજ કરતાં CM યોગીએ કહ્યું હતું કે ‘આલોક સિપાહી હૈ પક્કા સપાઇ’ જેની સરકારે હકાલપટ્ટી કરી છે જેના ફોટા અખિલેશ યાદવ સાથે અસ્તિત્વમાં છે.
કોંગ્રેસે વંદે માતરમના કેટલા અંશ દૂર કર્યા
વિધાનસભામાં સીએમ યોગીએ ઇતિહાસનો ઉલ્લેખ કરતાં પ્રહાર કર્યો હતો કે ‘1937માં લખનઉથી મોહમ્મદ અલી ઝીણાએ ‘વંદે માતરમ’ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. પંડિત નેહરુએ સુભાષ ચંદ્ર બોઝને પત્ર લખીને મુસ્લિમ સમુદાય અસહજ છે તેવી માંગ કરી હતી. 26 ઓક્ટોબર, 1937ના રોજ કોંગ્રેસે ગીતના કેટલાક ભાગોને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રીના મતે, જેને સંવાદિતા કહેવામાં આવતી હતી તે વાસ્તવમાં તુષ્ટિકરણની શરૂઆત હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રગીત ભારતીયો માટે માત્ર એક ગીત નથી, પરંતુ એક ધાર્મિક વિધિ છે. વિપક્ષે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી કે વિભોર રાણા જેવા વ્યક્તિઓને 2016માં સમાજવાદી પાર્ટીની સરકારે લાયસન્સ આપ્યા હતા, જ્યારે વર્તમાન સરકાર તેમની સામે કાર્યવાહી કરી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઇતિહાસ માત્ર તથ્યો નથી પણ ચેતવણી છે, અને નવી પેઢીને સત્ય જાણવાનો અધિકાર છે. તેમણે માંગ કરી કે જે લોકો વંદે માતરમનો બહિષ્કાર કરે છે તેમણે દેશવાસીઓની માફી માંગવી જોઈએ.
આ પણ વાંચો: દેશના 3 દિગ્ગજ નેતાઓની ‘ખુરશી’ ખતરામાં! રાજ્યસભામાં વાપસી પર પેચ ફસાયો, જાણો 75 બેઠકોનું સમીકરણ










