![]()
Pune Municipal Elections 2026: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પુણેમાં મ્યુનિસિપલ ચૂંટણી પ્રચાર દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને NCPના પ્રમુખ અજિત પવાર દ્વારા ભાજપની ટીકા કરવા મામલે નારાજગી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘અજિત પવારે સંયમ રાખવો જોઈતો હતો. ફડણવીસ અજિત પવારના નિવેદન અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, જેમની પાર્ટી શાસક મહાયુતિનો ભાગ છે. પુણે અને પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ ચૂંટણી પહેલા અજિત પવાર વારંવાર સ્થાનિક શાસનના મુદ્દાઓ પર ભાજપ પર નિશાન સાધી રહ્યા છે.’
ભાજપની ટીકા પર CM ફડણવીસનો વળતો પ્રહાર
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘મારી પાસે ખૂબ ધીરજ છે, અને તે તૂટશે નહીં. અમે સંમત થયા હતા કે સહયોગી તરીકે અમે એકબીજા વિરુદ્ધ નહીં બોલીએ. પરંતુ અજિતદાદાએ સંયમ રાખ્યો નહીં. પુણેમાં ટીકાત્મક ટિપ્પણીઓ કરવી તેમના માટે અયોગ્ય છે.’
CM ફડણવીસે વધુમાં કહ્યું કે, ‘મેં મારા સાથીદારો કે અન્ય લોકો વિરુદ્ધ કંઈ કહ્યું નથી. હવે હું મુંબઈ આવીશ ત્યારે જવાબ આપીશ.’ ઉલ્લેખનીય છે કે, અજિત પવારે પુણે જિલ્લાની બે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે શરદ પવારના નેતૃત્ત્વ વાળી NCP(SP) સાથે ગઠબંધન કર્યુ છે.
અજિત પવારના ભાજપ પર પ્રહારો
પુણે અને પિંપરી-ચિંચવડમાં સ્થાનિક ભાજપ નેતૃત્વની ટીકા કરતા, પવારે આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા આઠથી નવ વર્ષમાં મોટાપાયે ખર્ચ કરવા છતાં તેમની દૂરંદેશીના અભાવે બંને મ્યુનિસિપલ સંસ્થાઓને કટોકટીમાં ધકેલી દીધી છે.
આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફના કારણે એક જ રાજ્યમાં 30 લાખ લોકોની નોકરી જશે…ખુદ CMએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
અજિત પવાર અને સુપ્રિયા સુલેના પક્ષો દ્વારા બહાર પાડવામાં આવેલા સંયુક્ત મેનિફેસ્ટોમાં પુણેમાં આરોગ્યસંભાળ, ટ્રાફિક રાહત, પાણી પુરવઠો અને જાહેર પરિવહન સુધારવાનું વચન આપવામાં આવ્યું છે, જેમાં મફત મેટ્રો મુસાફરી અને મ્યુનિસિપલ સંચાલિત બસ સેવાઓનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, પુણે અને પિંપરી-ચિંચવડ સહિત રાજ્યભરમાં 29 મ્યુનિસિપલ ચૂંટણીઓ 15 જાન્યુઆરીએ યોજાવાની છે. જેની મતગણતરી બીજા દિવસે એટલે કે 16 જાન્યુઆરીએ થશે.










