![]()
Vejalpur Crime News : અમદાવાદ શહેરના વાસણામાં રહેતા અને શ્યામલ ચાર રસ્તા પાસે પાન સેન્ટર ધરાવતા 30 વર્ષીય યુવકે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા અને તેના મિત્રોના માનસિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાન પાર્લર પર આવતા કેટલાંક યુવકો વિરૂદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ અંગે નીલ ઠાકર અને અન્ય આરોપીઓ પાન પાર્લરના માલિકને જવાબદાર ઠેરવીને પરેશાન કરતા હતા. તેથી ડરી ગયેલા યુવકે છુટકારો મેળવવા આત્મહત્યા કરી હતી. આ અંગે વાસણા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
યુવકને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો : વાસણા પોલીસે ગુનો નોંઘ્યો
વાસણામાં રહેતા કૃણાલ સોંલકીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે, તેઓ શ્યામલ ચાર રસ્તા પાસે પાન પાર્લર ચલાવે છે. તેમનો નાનો ભાઇ અંકિત સોલંકી પણ પાન પાર્લર પર બેસીને બિઝનેસમાં મદદરૂપ થતો હતો. ગત 25મી ઓક્ટોબરના રોજ સાંજના સમયે સ્વપનીલ મહેતા, માનવ ઠક્કર, મોર્ય કંસારા અને વિવેક ગુપ્તા નામના યુવકો પાન પાર્લર પર આવ્યા હતા. તે સમયે માનવનો પિતરાઇ ભાઇ હાર્દિક ઠક્કર પણ ત્યાં આવ્યો હતો. ત્યારબાદ તમામ લોકો કારમાં નીકળી ગયા હતા. એ જ દિવસે આનંદનગર પોલીસે તેમની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. આ વાતની જાણ અંકિતને થઇ હતી. આ અને તેને માનવ ઠક્કર સહિતના લોકોએ ધમકાવીને કહ્યું હતું કે આનંદનગર પોલીસે તેના કહેવાથી પકડીને ગુનો નોંઘ્યો છે.
આ ઘટના બાદ માનવ ઠક્કર અને અન્ય યુવકો નીલ ઠક્કર નામના યુવક સાથે પાન પાર્લર પર આવીને તેને ધમકાવતા હતા. માનસિક રીતે સખત હેરાન-પરેશાન કરતા હતા. એટલું જ નહીં, પાન પાર્લર બંધ કરાવીને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપતા હતા. આ ઉપરાંત નીલ ઠાકરના મોબાઇલમાં વીડિયો પણ ઉતારતા હતા, જેથી અંકિત સોલંકી ડરી ગયો હતો.
ત્યાર પછી 26મી નવેમ્બરના રોજ અંકિત સોલંકીએ સાંજના સમયે કેટલાક પરિચિતોને વોટ્સએપ પર સ્યુસાઇડ નોટ મોકલી હતી અને ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. આ સુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું , ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનો ભત્રીજો અને તેના મિત્રો સતત માનસિક ટોર્ચર કરીને મારી દુકાન બંધ કરાવવા ઇચ્છે છે, જેથી હું આ પગલું ભરું છુ. ખાસ કરીને તેણે ઉલ્લેખ કર્યો હતો કે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર શરમ ભરીને કેસને દબાવી ન દેતા કારણ કે મેં મારો જીવ આપી દીધો છે.
આ અંગે વાસણા પોલીસે અમિત ઠાકરના ભત્રીજા નીલ ઠાકર, માનવ ઠક્કર, તીર્થ પ્રધાન, ઉંમગ દેસાઇ, મિહિર દેસાઇ, અને રાજ સુખવાસિયા વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.









