![]()
Ahmedabad News: અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આજે (15મી ડિસેમ્બર) સવારે એક 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ રોડ પરથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક બંને પગે દિવ્યાંગ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
મૃતદેહ પર કોઈ ઇજાના નિશાન જોવા મળ્યા નથી
મળતી માહિતી અનુસાર, મૃતકનું નામ અકરમ છે અને તે ગોમતીપુર વિસ્તારમાં આવેલી દેવીપ્રસાદની ચાલીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે આ વ્યક્તિનો મૃતદેહ ગોમતીપુરના રોડ પર પડ્યો હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ સ્થળ પર દોડી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મૃતદેહ પર કોઈ બાહ્ય ઇજાના કે ટક્કર લાગ્યાના નિશાન જોવા મળ્યા નથી, જેનાથી અકસ્માત થયો હોવાની શક્યતા નહિવત્ છે.
સ્થળ પર હાજર લોકો અને પોલીસના પ્રાથમિક તારણ મુજબ, અકરમ પડી ગયો હોય અને મોઢામાંથી લોહી નીકળ્યું હોય તેવું જણાય છે, પરંતુ શરીરે કે અન્ય કોઈ જગ્યાએ ઇજાના નિશાન નથી. શારીરિક રીતે દિવ્યાંગ હોવાથી તે પડી ગયો હોય અથવા આંતરિક રીતે હૃદયરોગનો હુમલો કે અન્ય કોઈ કારણોસર તેનું મૃત્યુ થયું હોય તેવી શક્યતા છે. જો કે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી છે.










