![]()
Ahmedabad News : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા મંદિરમાં તસ્કરો ત્રાટક્યાં હોવાની ઘટના સામે આવી છે. ચોરોએ મંદિરમાંથી આખી દાનપેટી જ ઉઠાવીને લઈ ગયા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કર્યા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે મંદિરના પૂજારી અને સ્થાનિકો દ્વારા તસ્કરોને ઝડપી પાડવા પોલીસને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
તસ્કરો મંદિરમાંથી આખી દાનપેટી જ ઉઠાવી ગયા
મળતી માહિતી મુજબ, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા જોગણી માતા અને અંબા માતા મંદિર ખાતે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યું હતું. જેમાં મંદિરના સ્ટીલના ગેટ સાથે અંદરના ભાગમાં વેલ્ડિંગથી જોઈન્ટ કરવામાં આવેલી બે ફુટની સ્ટીલની દાનપેટી ઉઠાવીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે પૂજારીએ કહ્યું કે, ‘છેલ્લા ત્રણ વર્ષથી દાનપેટી ખોલવામાં આવી નથી, જેમાં આશરે 50 હજાર જેટલી રકમ હશે.’
આ પણ વાંચો: શિયાળાની દસ્તક: નલિયા 15.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર, અમદાવાદમાં પારો 20 ડિગ્રીથી નીચે જશે
મંદિરમાં ચોરીને ઘટના અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ઘટના મામલે ગોમતીપુર પોલીસે સીસીટીવી ચકાસીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.










