![]()
Ahmedabad Crime News: અમદાવાદ શહેરના ખોડિયારનગર વિસ્તારમાં સોમવારે સાંજના સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ જ પોતાની પત્નીની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી છે. ઘરેલુ વિવાદ અને સાસરિયાઓના ત્રાસના કારણે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મયંક પટેલ નામના યુવકે દોઢ વર્ષ પહેલાં યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, લગ્નજીવનના થોડા સમય બાદ જ દંપતી વચ્ચે નાના-મોટા ઝઘડા અને વિવાદો શરૂ થયા હતા. યુવતીના પરિવારે આરોપ લગાવ્યો છે કે મયંકનો પરિવાર યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, જેના કારણે બંને વચ્ચે અણબનાવ વધ્યો હતો.
સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવતી છેલ્લા ચાર મહિનાથી ખોડિયારનગર ખાતે પોતાના માતા-પિતા સાથે પિયરમાં રહેવા આવી ગઈ હતી. દંપતી સાસુ-સસરાથી પણ અલગ રહેતું હતું, તેમ છતાં વિવાદનો અંત આવ્યો ન હતો.
આ પણ વાંચો: રિશ્તો મેં દરાર…ગુજરાતમાં ફેમિલી કોર્ટના કેસમાં એક વર્ષમાં બમણો વધારો, 62000થી વધુ કેસ
સોમવારે સાંજે યુવતી કોઈ કામ અર્થે પોતાના ઘરેથી બહાર નીકળી હતી. આ દરમિયાન આરોપી પતિ મયંક પટેલે તેને રસ્તામાં રોકી હતી. બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા મયંકે પોતાની પાસે રહેલી છરી વડે પત્ની પર હુમલો કરી દીધો હતો. મયંકે પત્નીના ગળા અને હાથના ભાગે છરીના ઉપરાછાપરી ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવતીએ જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હેવાન બનેલા પતિએ તેનો પીછો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવતીના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.
આ મામલે મૃતક યુવતીના માતા-પિતાએ આરોપી જમાઈ મયંક પટેલ અને તેના પરિવાર વિરુદ્ધ સાસરિયાઓ દ્વારા હેરાનગતિ અને હત્યાની ગંભીર કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી મયંક પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.









