![]()
Ahmedabad Road Safety: રાજાના કુંવરની માફક રાત-દિવસ વિકસી રહેલા અમદાવાદના 3000 કિલોમીટરના મુખ્ય, આંતરિક અને સોસાયટીઓના માર્ગો ઉપર બનાવાયેલાં 4000 સ્પીડબ્રેકર સલામતી આપવા સાથે સમસ્યારૂપ બની રહ્યાં છે. અમદાવાદીઓને ઓછામાં ઓછી અડચણ આવે તેવું આયોજન કરવા અમદાવાદ ટ્રાફિક પોલીસ પોલીસ અને મ્યુનિ. સંયુક્ત રીતે કરે છે. રસ્તા અને જરૂરિયાત મુજબ સ્પીડબ્રેકર બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની કમિટી મંજૂરી આપે છે. પણ, વાહનોની દોડધામ વચ્ચે સલામતી શોધતાં શહેરીજનો સગવડિયા સેટિંગ કરી સ્પીડબ્રેકર બનાવીને સમસ્યા સર્જી રહ્યાં છે. લોકો પોતાની અને બાળકોની સલામતી માટે અમુક મુખ્ય રસ્તા, આંતરિક રસ્તા અને સોસાયટીઓના રસ્તા ઉપર આડેધડ અને નિયમોની વિરૂદ્ધ ડામર, પ્લાસ્ટિક કે સિમેન્ટના કોઈપણ સાઇઝના બમ્પ બનાવી નાંખતા હોવાથી અકસ્માતો સર્જાય છે. અકસ્માત કરતા વિશેષ ન દેખાય તે રીતે બનેલા સ્પીડબ્રેકરના કારણે અનેક લોકો કમરથી લઈને ગરદનના દુખાવાની સમસ્યાનો ભોગ બને છે. રોડ એન્જિનિયરિંગ માટે ખાસ વિભાગ સુષુપ્ત છે ત્યારે સતત ભાગતા-દોડતા શહેરીજનો માટે સ્પીડબ્રેકર સલામતી સાથે સમસ્યા સર્જી રહ્યા છે.
17 મહિનામાં 339 નવા સ્પીડબ્રેકરને મંજૂરી
અમદાવાદમાં વર્ષ 2024-25ના 17 મહિના દરમિયાન જ 339 નવા સ્પીડબ્રેકર મંજૂર કરવામાં આવ્યાં છે. વર્ષ 2021થી 2025 સુધીમાં સ્પીડબ્રેકર બનાવવા માટે 1133 લોકોએ અરજી કરી હતી. તેમાંથી કુલ 630 સ્પીડ બ્રેકર બનાવવા મ્યુનિ. અને પોલીસ તંત્રની કમિટીએ મંજૂરી આપીને કાર્યવાહી કરી હતી. સ્પીડબ્રેકર બનાવવા માટે મ્યુનિ.ની વોર્ડ ઓફિસ કે ટ્રાફિક પોલીસના પ્લાનિંગ સેલમાં અરજી કરવામાં આવે છે. આ અરજીઓ ટ્રાફિક પોલીસના પ્લાનિંગ સેલમાં મોકલી આપવામાં આવે છે. પ્લાનિંગ સેલ જે તે વિસ્તારના ટ્રાફિક પોલીસ સ્ટેશનના પી.આઈ.ને આ અરજી મોકલી આપે છે. પી.આઈ. ખરા અર્થમાં સ્પીડબ્રેકરની જરૂરિયાત છે કે નહીં અને જરૂરિયાત હોય તો ટ્રાફિક ફ્લોને ધ્યાનમાં રાખીને કયા પ્રકારના સ્પીડબ્રેકર બનાવવા તે અંગેનો રિપોર્ટ આપે છે. આ રિપોર્ટના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોન ઓફિસ જે તે નિર્દિષ્ટ જગ્યાએ સ્પીડબ્રેકર બનાવે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં ગુજરાત 7મા સ્થાને
2800 જેટલા સ્પીડબ્રેકર સગવડિયા સેટિંગથી બનાવ્યા
સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ અને મ્યુનિ. એ મંજૂર કરેલા સ્પીડબ્રેકરની સંખ્યા 1200 આસપાસ થવા જાય છે છતાં શહેરના મુખ્ય માર્ગો, આંતરિક રસ્તા કે સોસાયટીઓમાં સ્પીડબ્રેકરની સંખ્યા 4000 જેટલી થવા જાય છે. જેનો અર્થ છે કે, શહેરમાં 2800 જેટલા સ્પીડબ્રેકર સગવડિયા સેટિંગથી બનેલાં છે. સગવડિયા સેટિંગથી આસ્ફાલ્ટ એટલે કે ડામરના બદલે સિમેન્ટના અને પ્લાસ્ટિકના ગમે તે સાઈઝના સ્પીડબ્રેકર બનાવી નાંખવામાં આવે છે. સૌથી ગંભીર બાબત એ છે કે, વાહન અકસ્માત નિવારવા માટેની સલામતી માટે લગાવાતાં સ્પીડબ્રેકર સમસ્યા સર્જી રહ્યાં છે.
નિષ્ણાતોના મતે, ઈન્ડિયન રોડ કોંગ્રેસની ગાઈડલાઈન મુજબ સ્પીડબ્રેકર બનવા જોઈએ તેનું પાલન ગેરકાયદે બનાવવામાં આવતાં સ્પીડબ્રેકરમાં થતું નથી. આડેધડ અને ગેરકાયદે બનાવી નાંખવામાં આવતાં સ્પીડબ્રેકરથી અનેક લોકોને શારીરિક સમસ્યા સર્જાઈ રહી છે.
શું છે સ્પીડબ્રેકરનો નિયમ?
સ્પીડબ્રેકર લગાવવા માટેના પણ નિયમો છે. સામાન્ય સમજ અનુસાર, ઓછામાં ઓછો 18 મીટરનો રોડ હોય તો જ સ્પીડબ્રેકર લગાવી શકાય છે. આ સ્પીડબ્રેકરની ઊંચાઈ 10 સે.મીથી વધુ હોવી ન જોઈએ. નિયમાનુસાર 50 મીટર પહેલાં જ સ્પીડબ્રેકર હોવા અંગેનું બોર્ડ લગાવવું ફરજિયાત છે પણ મ્યુનિ. દ્વારા પણ આવા બોર્ડનો અભાવ અનેક સ્થળે જોવા મળે છે. આથી, ગેરકાયદે લગાવાતાં સ્પીડબ્રેકરમાં બોર્ડ લગાવવાની શક્યતાઓ રહેતી નથી.
આ પણ વાંચોઃ SIRને કારણે વર્તમાન ધારાસભ્યો-સાંસદોને ચિંતા પેઠી, સમર્થકોની સંખ્યા ઘટે તો હાર ભાળવી પડશે!
નિષ્ણાતોના મતે, સોસાયટીના આંતરિક રસ્તાઓમાં લગાવાગા રબ્બરના રમ્બલ બમ્પ વાહનની ગતિ પાંચ કિલોમીટરથી વધુ હોય તો ઈજા પહોંચાડી શકે છે. રમ્બલ બમ્પની માફક જ મલ્ટીપલ બમ્પ પણ વાહન અને વાહનચાલક માટે નુકસાનકર્તા છે. સ્પીડબ્રેકર્સ ઉપર સફેદ પટ્ટા ગેરકાયદે છે. સફેદ ટ્રાયેન્ગલ અથવા તો પીળા પટ્ટા લગાવવા જોઈએ તે વાહનચાલકને સ્પીડબ્રેકરનું જોખમ હોવાના અણસાર આપી જાય છે. ઈન્ડિયન રોડ કોંગ્રેસ દ્વારા રસ્તા મુજબ સ્પીડબ્રેકરની ઊંચાઈ, પહોળાઈ સહિત બમ્પની ડિઝાઈન સહિતની માર્ગદર્શિકા આપવામાં આવી છે. કમનસીબે, અમદાવાદમાં કેન્દ્ર સરકારની આ ગાઇડલાઈન બમ્પની માફક મ્યુનિ. અને ટ્રાફિક તંત્ર કૂદાવી દે છે જે લોકો માટે જોખમી છે.
ગેરકાયદે, મલ્ટીપલ બમ્પથી કમરનો દુખાવો અને સ્પાઈનલ ઈન્જરીની શક્યતા વધી
ગેરકાયદે નંખાતા મલ્ટીપલ, સિમેન્ટ કે રમ્બલ બમ્પથી બેકપેઇન અને સ્પાઇનલ ઇન્જરીની શક્યતા વધી જાય છે. જો લોકો સતત આ પ્રકારના સ્પીડબ્રેકર ઉપરથી વારંવાર પસાર થાય છે, તો તેમને કમરથી માંડી ગરદન સુધીના વિસ્તારમાં ઈન્ટરનેશનલ ઇન્જરી થઈ શકે છે અને આવા કેસ આવે પણ છે. અમદાવાદ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટી કાર્યરત એવા ઓર્થોપેડિક સર્જન ડૉ. પ્રવિણ કાનાબારનું કહેવું છે કે, અમુક પ્રકારના બમ્પથી ટુ વ્હીલર ચાલકને ઈજા થાય તે સ્વાભાવિક છે. પણ, બસની પાછળની સીટ ઉપર બેસીને મુસાફરી કરતાં હોય અને અમુક પ્રકારના સ્પીડબ્રેકર પર બસ કૂદે તો સ્પાઈનલ ઈન્જરીના કિસ્સાઓ પણ નોંધાયેલા છે.










