![]()
Ahmedabad News: અમદાવાદમાં ખોટા જન્મ મરણના પ્રમાણપત્રનું કૌભાંડ ઉજાગર થયું છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટના ખોટા હુકમો અને બનાવટી સહી-સિક્કાઓનો ઉપયોગ કરનારા 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ બનાવટી હુકમોને તેઓએ ખરા તરીકે સ્થાપિત કરવા માટે જન્મ-મરણ-લગ્ન વિભાગની કચેરી તેમજ આરોગ્ય ભવન જન્મ-મરણ વિભાગમાં રજૂ કર્યા હતા. જેની ફરિયાદના આધારે પોલીસે પગલાં લીધા હતા.
9 હુકમો ખોટા
આ કેસમાં મળતી માહિતી મુજબ, આરોપીઓએ નામદાર કોર્ટના બનાવટી હુકમો તૈયાર કર્યા હતા અને તેના પર ખોટા સહી-સિક્કા કરીને આ દસ્તાવેજોને જન્મ-મરણ-લગ્ન વિભાગની કચેરી તેમજ આરોગ્ય ભવન જન્મ-મરણ વિભાગમાં રજૂ કર્યા હતા. આ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ તેઓ ખરા તરીકે કરવા માંગતા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા કુલ 238 હુકમો સામે 9 હુકમો ખોટા થયા હતા.
ચાર આરોપીની ધરપકડ
જે બાદ પોલીસે અરજણભાઇ કરશનભાઈ ભરવાડ, શબ્બીરભાઇ હસુભાઇ શેખ, અલ્લાઉદ્દીન અબ્દુલભાઇ શેખ અને નિઝામખાન નાસીરખાન પઠાણ નામના ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વકીલ 50 હજારમાં કાઢી આપતો પ્રમાણપત્ર
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે મિલકત પચાવી પાડવા માટે આ પ્રકારે ખોટા મરણ પ્રમાણપત્ર લેવાની જરૂરિયાત પડી હતી. જે માટે વકીલ પાસેથી રૂપિયા 50 હજારમાં એક પ્રમાણપત્ર બનાવતા હતા. કથિત રીતે આ બનાવટી પ્રમાણપત્ર કાઢવા પાછળ મુખ્ય સૂત્રધાર ઇરફાન કાઝી છે. 20 સપ્ટેમ્બરે ખોટું પ્રમાણપત્રના કેસમાં વકીલ ઈરફાન કાઝીને પકડવામાં આવ્યો હતો.










