NSUI Protest : અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં મંગળવારે(17 માર્ચ) નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા(NSUI) દ્વારા સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ગેસના ભાવવધારાને ‘અન્યાયી’ ગણાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચીમકી આપી હતી કે જો ભાવ પાછા ખેંચવામાં નહીં આવે તો શહેરના તમામ 48 વોર્ડમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
60 રૂપિયાનો ભાવવધારો પડતા પર પાટું સમાન
વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, એક તરફ જનતા પહેલેથી જ મોંઘવારીથી પીસાઈ રહી છે, ત્યારે ગેસના ભાવમાં ફરીથી 60 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને મધ્યમ વર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. દેખાવકારોએ સરકાર પાસે તાત્કાલિક અસરથી આ ભાવવધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.

કાળાબજારમાં 3000 રૂપિયામાં વેચાય છે સિલિન્ડર?
વિરોધ પ્રદર્શન કરનાર NSUIના કાર્યકર્તાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગેસ સિલિન્ડરની ભારે અછત ઊભી થઈ છે, જેનો લાભ લઈને કેટલાક તત્વો કાળાબજાર કરી રહ્યા છે. અમુક વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો પાસેથી એક સિલિન્ડરના 3000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. ગ્રાહકોને સમયસર ગેસ મળતો નથી અને બીજી તરફ ભાવ વધારી દેવામાં આવ્યા છે, જે સદંતર અસ્વીકાર્ય છે.
પોલીસે કાર્યકરોની કરી અટકાયત
ચાંદલોડિયામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરોને વિખેરવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સ્થિતિ તંગ બનતા અને રસ્તા જામ થવાની શક્યતાને જોતા પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે અને હાલમાં પરિસ્થિતિ અંકુશ હેઠળ છે.
આ પણ વાંચો: LPGની અછત વચ્ચે અમદાવાદમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે દરોડા પાડી ડિલિવરી બોયને રંગે હાથે ઝડપ્યો
આગામી દિવસોમાં આંદોલન તેજ બનશે
NSUIએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો ગેસનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં નહીં આવે અને ભાવ ઘટાડવામાં નહીં આવે તો અમદાવાદના તમામ 48 વોર્ડમાં તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આગામી દિવસોમાં આ મુદ્દો વધુ રાજકીય ગરમાવો પકડે તેવી પૂરેપૂરી શક્યતા છે.










