![]()
Ayodhya Flag Hoisting LIVE : આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવશે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.
અયોધ્યા ધ્વજારોહણ સમારોહની તમામ લાઈવ અપડેટ્સ:
અયોધ્યા ધ્વજારોહણ LIVE:
પીએમ મોદીએ રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું
અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ દરમિયાન ભક્તો જય શ્રી રામ નારા લગાવ્યા હતા.
પીએમ મોદી ટૂંક સમયમાં ધ્વજારોહણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના ‘શિખર’ પર ધ્વજારોહણ. પરંપરાગત ઉત્તર ભારતીય નાગર સ્થાપત્ય શૈલીમાં બનેલા શિખર પર ધ્વજારોહણ કરશે, જ્યારે દક્ષિણ ભારતીય સ્થાપત્ય પરંપરામાં ડિઝાઇન કરાયેલ મંદિરની આસપાસની 800 મીટરની દિવાલ મંદિરની સ્થાપત્ય વિવિધતા દર્શાવે છે.
શ્રીરામ મંદિરમાં અષ્ટોત્તર પૂજન શરૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીરામ મંદિરમાં અષ્ટોત્તર પૂજન શરૂ કર્યું છે. તેમની સાથે RSS વડા મોહન ભાગવત પણ હાજર છે. ત્યારબાદ થોડીવારમાં ધ્વજારોહણ કરશે.
પીએમ મોદી રામ મંદિર પહોંચ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિર પહોંચ્યા છે. તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત પણ રામ મંદિર પહોંચ્યા છે.
પીએમ મોદીએ શેષાવતાર મંદિરમાં પૂજા અર્ચના કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહ પહેલા શેશાવતાર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ સપ્તમંદિરની મુલાકાત લીધી, જેમાં મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલ્મીકિ, દેવી અહલ્યા, નિષાદરાજ ગુહા અને માતા શબરીને સમર્પિત મંદિરો આવેલા છે.
PM મોદીએ સપ્તમંદિરમાં પૂજા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ જન્મભૂમિ પરિસરમાં સપ્તમંદિરમાં પૂજા કરી. તેઓ શ્રી રામ મંદિરના શિખર પરધ્વજારોહણ કરશે.
અયોધ્યા રામ મંદિરમાં ધ્વજારોહણના મૂહુર્ત અને પૂજાની ટાઈમલાઈન
ધર્મ ધ્વજા રોહણ શુભ દિવસ: માગશર સુદ પાંચમ, મંગળવાર.
– 11.36થી 11.47 વાગ્યે ગર્ભગૃહમાં યજમાન પ્રવેશ અને ઉપાસના
– 11.47થી 11.58 વાગ્યે અષ્ટોત્તર પૂજન અને ધ્વજસ્તંભ સ્થિરીકરણ
– 11.58થી 12.07 વાગ્યે પ્રાથમિક પૂજા, આમલસાર તથા યંત્ર સ્થાપના
– 12.8થી 12.16 વાગ્યે મંત્રોચ્ચાર સહિત શિખરે ધર્મ ધ્વજારોહણ
– 12.16થી 12.20 વાગ્યે ઉત્તિષ્ઠત જાગ્રત નાદતઃ ધ્વજા ફરકાવાશે
– 12.21થી 12.31 વાગ્યે અભિષેક, યજ્ઞ વિધાન, પુષ્પવર્ષા, ગન્ધવિલેપનમ્
– 12.32થી 1 વાગ્યા સુધી વિગ્રહ સ્થાને મહા આરતી તથા મંગલ ઘોષ.
ધ્વજની સ્થાપના માટે અનોખી યાંત્રિક વ્યવસ્થા
રામમંદિરના શિખર પર ધ્વજને ફરકાવવા માટે વપરાતું દોરડું અત્યંત મજબૂત અને ભારે છે, તેથી તેને માનવબળ વડે ખેંચવું કઠિન અને જોખમભર્યું છે. આ પડકારના નિરાકરણ માટે વિશેષ રીતે ડિઝાઇન કરાયેલી યાંત્રિક સિસ્ટમ ગોઠવાઈ છે. આ સિસ્ટમમાં દોરડાને બે બાજુ સંતુલિત રાખવા અને સરળતાથી ખેંચવા અને ઢીલ આપવા વિશિષ્ટ મશીનો લગાવાયા છે.
ધ્વજા ચડાવવાનો સંપૂર્ણ કાર્યક્રમ
આજે બપોરે 12 વાગ્યે વડાપ્રધાન મોદી શ્રી રામ મંદિરમાં ભગવા રંગની ધ્વજા ચડાવશે. સાથે સાથે મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના પણ કરશે. કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટથી હેલિકોપ્ટરથી સાકેત વિશ્વવિદ્યાલય પહોંચશે. ત્યાં રોડ શો કરી મંદિર સુધી પહોંચશે. મંદિરમાં આજે સામાન્ય શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં. જે તે મહેમાનને QR કોડની મદદથી જ એન્ટ્રી મળશે.
ધર્મ ધ્વજની ખાસિયતો
રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ‘ધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે ‘સૂર્ય ધ્વજ’ તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.
ધર્મ ધ્વજની લંબાઈ- 22 ફૂટ
પહોળાઈ- 11 ફૂટ
વજન- 2.5 કિલો
રંગ- કેસરી
ધ્વજ પર અંકિત પ્રતીકો- ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ
મટીરિયલ- નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક
આયુષ્ય- ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે)
ધ્વજનો થાંભલો અમદાવાદમાં બનાવાયો છે
આ ધ્વજ જે થાંભલા પર લહેરાશે તે સ્ટીલનો બનેલો છે. તેનું વજન સાડા પાંચ ટન (5500 કિલોગ્રામ) જેટલું છે. 44 ફૂટ ઊંચો આ થાંભલો અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે. થાંભલાની ઊંચાઈને ધ્યાનમાં લેતા ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકશે.
અયોધ્યા રામ મંદિર માટે અન્ય કઈ કઈ વસ્તુઓ અમદાવાદમાં તૈયાર કરાઈ?
મુખ્ય મંદિર તથા આસપાસના 6 મંદિરના ધ્વજ દંડ
મંદિર ઉપર લાગતાં કડા
મંદિરના દરવાજાના હાર્ડવેર
મંદિર માટેની દાનપેટી
ભગવાનના આભૂષણ મૂકવા માટે બ્રાસનું કબાટ









