![]()
અમદાવાદ,બુધવાર,24 ડિસેમ્બર,2025
મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામા મળેલી વીકલી રીવ્યુ
બેઠકમાં અલગ અલગ બિલ્ડિંગ માટે અલગ અલગ કન્સલ્ટન્ટ ના રાખો.તમે આમ કરીને
કોર્પોરેશનની તિજોરી ઉપર આર્થિક બોજ વધારો છો. એવી તાકીદ ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનરને કરી હતી. કોર્પોરેશનના તમામ બિલ્ડિંગની ડિઝાઈન એક રાખવા પણ તેમણે કહયુ
હતુ.કવોલીટી સેલમાં માત્ર રોડ જ નહીં તમામ પ્રોજેકટ માટેની તમામ ચીજોનો કવોલીટી
ટેસ્ટ કરવા તાકીદ કરી હતી.
કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામા મળેલી બેઠકમાં તેમણે
શહેરના ૧૫ ટ્રાફિક જંકશન ડેવલપ કરવાને લઈ વિગત માંગી હતી.ડેપ્યુટી કમિશનર મિરાંત
પરીખ જવાબ આપી શકયા નહોતા.ટ્રાફિક વિભાગના એડીશનલ સીટી ઈજનેરે જવાબ આપતા કહયુ, કામગીરી પુરી થઈ
ગઈ. તે સમયે કમિશનરે નારાજગી વ્યકત કરતા કહયુ, પછી શું .તમે કયારેક કામગીરી ચાલે છે.કયારેક પુરી થઈ ગઈ છે
તેવા જવાબ કેમ આપો છો. એક ટ્રાફિક જંકશન ડેવલપ કરતા કેટલો સમય લાગે તેમ તેમણે
પુછતા અધિકારીએ કહયુ,પંદરથી
વીસ દિવસ. આ તબકકે કમિશનરે કહયુ,
એવા સિગ્નલ વસાવો જે એક કલાકમા ઈન્સ્ટોલ થઈ શકે. ભારે ટ્રાફિકમાં લોકોને જવુ
હોય તો સરળતાથી જઈ શકે.ચોમાસા પહેલા શહેરમા કેટલા ખંભાતી કુવા,પરકોલેટીંગ વેલ
બનાવવા કેટલી અરજી આવી અને કેટલા બની ગયા.આ અંગે તેમણે ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ
પાસે વિગત માંગતા આપી શકયા નહોતા. આથી કમિશનરે અકળાઈને કહયુ, સાંજે સાત કલાક
સુધીમા મને રીપોર્ટ મળવો જોઈએ.નહીંતર કાર્યવાહી માટે તૈયાર રહેજો.બેઠકમાં કમિશનરે
ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ અને જયેશ ઉપાધ્યાયને શોકોઝ નોટિસ આપવા સુચના આપી હતી.
રોડ ભલે વાંકો ચુકો બને પણ એકપણ વૃક્ષ ના કાપતા,કમિશનર
અમદાવાદમાં ૧૫ મીટર કે તેથી ઓછી લંબાઈના રોડ બનાવવાની
કામગીરીની વિગત મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ પાસે માંગી હતી.એક અધિકારીએ કહયુ, રોડ બનાવવાનો છે
એ જગ્યાએ સળંગ ૧૫થી વધુ વૃક્ષ આવેલા છે. આ સમયે કમિશનરે કહયુ,રોડ ભલે વાંકો
ચુકો બને પણ એક પણ વૃક્ષ ના કાપતા.વાંકોચુકો રોડ બનશે તો વાહન ચાલકો આપોઆપ તેમના
વાહન ધીમી ગતિથી હંકારશે.










