![]()
Andaman Gas Reserves : કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેરાત કરી કે આંદામાન સમુદ્રના વિજયપુરમ-2 કૂવામાં વિશાળ કુદરતી ગેસના ભંડાર મળ્યા છે. આ શોધને માત્ર એક ઊર્જા સ્રોત તરીકે નહીં પરંતુ ભારતની લાંબા ગાળાની ઊર્જા સ્વતંત્રતા તરફનું પગલું ગણાવવામાં આવી રહી છે.
2,650 મીટરની ડ્રિલિંગ ફળી
આ કૂવો આંદામાન ટાપુઓના પૂર્વ કિનારેથી 17 કિમી દૂર અને સમુદ્રની સપાટીથી 295 મીટર ઊંડાઈએ આવેલો છે. 2,650 મીટરની ડ્રિલિંગ પછી કુદરતી ગેસ મળ્યો છે. આંદામાન બેસિનમાં હાઇડ્રોકાર્બનની હાજરીની પુષ્ટિ થવી એ દર્શાવે છે કે ભારત હવે સમુદ્રના ઊંડા પાણીમાં સંશોધનમાં કરવાની નવી ટેક્નોલોજીમાં પણ નિષ્ણાત બની ચૂક્યું છે.
મિથેનથી ભરપૂર સ્રોત મળ્યો
વિજયપુરમ-2ના પ્રારંભિક પરીક્ષણમાં ગેસમાં 87 ટકા મિથેન જોવા મળ્યું છે. જો તેનું વ્યાપારીકરણ સફળ થાય તો ભારતને ઉદ્યોગ, વિજળી ઉત્પાદન અને પરિવહન ક્ષેત્રે વધુ સ્વચ્છ અને ઘરઆંગણાનો ઊર્જા વિકલ્પ ઉપલબ્ધ થશે. આ ખોજને કારણે માત્ર આયાતમાં ઘટાડો નહીં આવે, પણ કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો પણ હાંસિલ કરી શકાશે.
આંતરરાષ્ટ્રીય સહયોગ અને રોકાણની સંભાવનાઓ
હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું છે કે આ શોધથી ભારતને Petrobras, BP, Shell, ExxonMobil જેવા વૈશ્વિક ઊર્જા દિગ્ગજો સાથે સહયોગ વધારવાની તક મળશે. આ ભાગીદારી ભારતને અદ્યતન ટેક્નોલોજી, મૂડી રોકાણ અને સંશોધન કુશળતા ઉપલબ્ધ કરાવી શકે છે.
ઊર્જા સ્વાવલંબન ભારતને ભૂરાજકીય દબાણમાંથી રાહત આપશે
ભારત હાલ તેની ઊર્જાની 85% જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. રશિયન તેલની ખરીદીમાં વધારો થતાં અમેરિકા સહિતના પશ્ચિમી દેશો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘરઆંગણે ગેસ ભંડારની શોધ ભારતને ભૂરાજકીય દબાણમાંથી રાહત આપી શકે છે.
વ્યૂહાત્મક સ્થળે જેકપોટ લાગ્યો
આંદામાન સમુદ્રનું ભૌગોલિક સ્થાન ખૂબ જ વ્યૂહાત્મક છે. એમાં એક બાજુ મ્યાનમાર, બીજી બાજુ ઇન્ડોનેશિયા અને આગળ મલાક્કા જળસંધિ છે, જે વૈશ્વિક વેપારનો અત્યંત મહત્ત્વપૂર્ણ માર્ગ છે. આ ક્ષેત્રમાં ઊર્જા ભંડાર હોવાનો અર્થ એ થયો કે ભારત માત્ર ઊર્જા ઉત્પાદક નહીં પરંતુ પ્રદેશીય વ્યૂહાત્મક ખેલાડી પણ બની શકે છે.
ડીપ-સી મિશનનું પરિણામ રંગ લાવ્યું
આ શોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીપ-સી મિશનનું પરિણામ છે, જેનો હેતુ દેશના દરિયાકિનારે ઊંડા પાણીના હાઇડ્રોકાર્બન શોધવાનો છે. આ મિશન ભારતને વૈશ્વિક સ્તરે ઊર્જા નવીનતા અને સંશોધન ક્ષેત્રે આગળ લાવવાનો પ્રયાસ છે.
પડકારો પણ એટલા જ મોટા છે
ભલે આ શોધ ઐતિહાસિક ગણાય, પરંતુ વ્યાપારી સ્તરે ઉત્પાદન માટે અનેક પડકારો છે. જેમ કે,
– ઊંડા પાણીમાં ડ્રિલિંગની ટેક્નોલોજી ભારે ખર્ચાળ છે
– ડ્રિલિંગને કારણે સમુદ્રનું પર્યાવરણ અસરગ્રસ્ત થાય છે
– આંતરરાષ્ટ્રીય રોકાણકારોના હિતો અને નિયમનકારી પરિસ્થિતિ ધ્યાનમાં રાખવી પડે એમ છે
– ઉત્પાદન અને પુરવઠો મેળવવામાં લાંબી સમય લાગે છે
આ બધા કારણોને લીધે ગેસના પૂલનું કદ અને તેની આર્થિક ઉપયોગિતા આગામી મહિનાઓમાં સ્પષ્ટ થશે.
ઊર્જા સ્વતંત્રતા તરફનું દેશનું મહત્ત્વપૂર્ણ કદમ
આંદામાન સમુદ્રમાં મળેલો ગેસ ફક્ત એક કુદરતી સંપત્તિ નથી, પરંતુ ભારત માટે એક ભૂરાજકીય સાધન છે. આ શોધ ભારતને આયાતી તેલ પરની નિર્ભરતા ઘટાડવામાં, વૈશ્વિક બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં અને આંતરરાષ્ટ્રીય દબાણ સામે વધારે આત્મવિશ્વાસી બનવામાં મદદ કરી શકે છે.
આગામી વર્ષોમાં આંદામાનની શોધ ભારતની ઊર્જા નીતિનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે.










