![]()
– 15,73,254 મતદારોએ મતદાર ફોર્મ સમય મર્યાદામાં જમા કરાવ્યા
– જિલ્લામાં 69,553 મતદારો મૃત્યુ પામ્યા હોવાની જાણકારી મળી, 9,284 મતદારોએ પોતાના ફોર્મ પરત નથી આપ્યા
આણંદ : આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (એસઆઈઆર)ની કામગીરી આણંદ જિલ્લામાં કુલ ૧,૭૭૨ બુથ લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવી રહી છે.
તા. ૦૪ નવેમ્બરથી હાથ ધરાયેલા આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાની તમામ ૦૭ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૧૮,૧૨,૩૨૭ મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પૈકી ૧૫,૭૩,૨૫૪ મતદારોએ ફોર્મ પરત આપ્યા છે. એટલે કે ૮૬.૮૧ ટકા મતદારોએ ફોર્મ બીએલઓને પરત આપ્યા હતા. આ ફોર્મ ડિઝિટાઇઝેશન કરવાની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા ૧૮,૧૨,૩૨૭ મતદારોને તેમના ફોર્મ બીએલો દ્વારા આપવામાં આવ્યા હતા. તે પૈકી ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં ૨,૧૬,૧૪૭ બોરસદ વિધાનસભામાં ૨,૩૪,૭૨૫, આંકલાવ વિધાનસભામાં ૨,૦૫,૭૧૧, ઉમરેઠ વિધાનસભામાં ૨,૪૩,૧૧૮, આણંદ વિધાનસભામાં ૨,૪૯,૧૯૬, પેટલાદ વિધાનસભામાં ૨,૧૯,૧૩૩ અને સોજીત્રા વિધાનસભા મતવિસ્તારમાં ૨,૦૫,૨૨૪ મળીને કુલ ૧૫,૭૩,૨૫૪ ફોર્મ મતદારો દ્વારા ભરીને પરત બી.એલોને આપવામાં આવ્યા છે. આ ફોર્મનું બીએલઓ દ્વારા ૧૦૦ ટકા ડિઝિટાઇઝેશન કરવામાં આવ્યું છે.
આણંદ જિલ્લામાં એસઆઈઆર અંતર્ગત કુલ ૬૯,૫૫૩ મતદારોના મૃત્યુ થયા હોવાનું જણાયું છે. જ્યારે ૪૪,૧૮૭ મતદારો બુથ લેવલ ઓફિસર દ્વારા ત્રણ વાર મુલાકાત લેવા છતાં તેમના ઘરના સરનામા ઉપર મળેલ નથી અને ૯૭,૪૫૬ મતદારો પોતાની વિધાનસભામાંથી અન્યત્ર સ્થળાંતર થયેલા જોવા મળ્યા છે. આ ઉપરાંત ૧૮,૬૧૯ મતદારોના નામ બે જગ્યાએ ચાલે છે, જે રદ કરવામાં આવ્યા છે અને અન્ય ૯,૨૮૪ મતદારો એટલે કે, જેમણે પોતાના ફોર્મ પરત બીએલઓને આપ્યા નથી તેવા મળીને કુલ ૨,૩૯,૦૬૬ મતદારોનો ઘટાડો થશે. જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ હજી પણ જે લોકો શિફ્ટ થયા છે અથવા જે લોકો એ પોતાના ફોર્મ જમા કરાવ્યા નથી કે જે લોકો બીએલઓ ઘરે આવ્યા છતાં પણ હજી સુધી મળ્યા નથી તેવા લોકો આગામી ૧૧મી ડિસેમ્બર સુધી તેમના ફોર્મ તમારા બીએલઓને જમા કરાવી શકશે તેમ જણાવાયું છે. આગામી ૧૬મી ડિસેમ્બરના રોજ કાચી મતદાર યાદી એટલે કે, ડ્રાફ્ટ સેલ પ્રસિદ્ધ કરવામાં આવશે.










