![]()
યાત્રાધામો અને પ્રવાસન સ્થળ પરિસરમાં બીજા દિવસે ચેકિંગ
મહિસાગર, માતાજી મંદિર, વહેરાખાડી મંદિર, ઇસ્કોન મંદિર પરિસરમાં તપાસ, ચાર કિલો બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરાયો
આણંદ: આણંદ જિલ્લામાં સતત બીજા દિવસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કર્યું હતું. જેમાં વાસદના મહિસાગર માતાજી મંદિર, વહેરા ખાડી મંદિર, ઇસ્કોન મંદિર પરિસરની આસપાસ લારી ગલ્લા પર ખાદ્ય પદાર્થોની તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ૨૫ પેઢીઓ પાસેથી ૧૨ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. ૪ કિલો બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરાયો હતો.
આણંદ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહીસાગર માતાજી મંદિર અને વહેરા ખાડી મંદિર પરિસરની આસપાસ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા ૧૧ લારી ગલ્લાઓની તપાસ કરવામાં આવી છેે.
જેમાં ૨ પેઢીઓ પાસેથી પાપડીનો લોટ અને ચાણા દાળના નમૂના લેવામાં આવ્યા હતા.વાસદના મહીસાગર મંદિર ખાતે ૪ પેઢીની તપાસ કર્યા બાદ ૧ લીટર બળેલું તેલ, ૩ કિલો વાસી પાપડી અને ૫૦૦ ગ્રામ ચટણી બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ હોવાથી નાશ કરવામાં આવ્યો હતો.
ઇસ્કોન મંદિરની બાજુમાં ૫ પેઢીમાં તપાસ કરીને ૪ નમૂના લેવામાં આવ્યા હતા. લોટીયા ભાગોળ વિસ્તારમાં ૫ પેઢીમાં તપાસ કરીને ૬ નમૂના લેવામાં આવ્યા છે.
બીજા દિવસે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૨૫ પેઢીમાં તપાસ કરીને ૧૨ નમૂના મેળવ્યા છે.










