![]()
Supreme Court: સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના ટુંડલામાં એક શાળાના મેદાનમાં રામલીલા ઉત્સવ યોજવા પર પ્રતિબંધ મૂકતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે રામલીલા ઉત્સવ માટે પણ પરવાનગી આપી હતી, જેમાં કહ્યું હતું કે તેનાથી વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ન થવી જોઈએ. કોર્ટે છેલ્લાં સમયે અરજી દાખલ કરનારને પણ કડક સવાલ-જવાબ કર્યા અને પૂછ્યું કે, આખરે ઉત્સવ 100 વર્ષોથી તે જ મેદાન પર થઈ રહ્યો છે તો છેક હવે તેમની ઊંઘ કેમ ઉડી?
ત્રણ સભ્યોની ખંડપીઠની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટિસ સૂર્યકાંતે આ મામલે જનહિત અરજી દાખલ કરવાના મૂળ અરજદારે પૂછ્યું કે, ‘આ ઉત્સવ તો છેલ્લાં 100 વર્ષોથી ઉજવાઈ રહ્યો છે. તો હવે તમે છેલ્લી ઘડીએ સુપ્રીમ કોર્ટ કેમ આવ્યા? તમે પહેલા કેમ ન આવ્યા?
આ પણ વાંચોઃ …તો આ વ્યક્તિ બનશે ભાજપના અધ્યક્ષ? જાણો BJP કે RSS માંથી કોણ નિર્ણય લેશે
ખંડપીઠ અને વકીલ વચ્ચે ઉગ્ર દલીલ
મૂળ અરજદારના વકીલને કહ્યું કે, રામલીલા પ્રદર્શન શાળામાં શૈક્ષણિક પ્રદર્શનમાં વિક્ષેપ ઊભો કરે છે. ત્યારબાદ જસ્ટિસ કાંતે પૂછ્યું, ‘પરંતુ તમે ન તો વિદ્યાર્થી છો, ન તો માતાપિતા છો, ન તો મિલકતના માલિક છો… તો પછી તમે પીઆઈએલ કેમ દાખલ કરી?’ અરજદારના વકીલે જવાબ આપ્યો, ‘જો બધા ધાર્મિક તહેવારો શાળાના રમતના મેદાનમાં ઉજવવાના હોય, તો બાળકો ત્યાં રમી પણ શકતા નથી… સિમેન્ટની ઈંટો નાખવામાં આવી રહી છે.’ ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પૂછ્યું, ‘વિદ્યાર્થીઓ કે વાલીઓની ફરિયાદો ક્યાં છે? અને પહેલાથી જ વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી?’
હાઇકોર્ટે શું કહ્યું?
આ પહેલાં અલ્હાબાદ હાઇકોર્ટે આ જનહિતની અરજી પર વિચાર કરતા જાણ્યું હતું કે, શાળાની રમતના મેદાનમાં સિમેન્ટની ઇન્ટરલૉકિંગ ટાઇલ પાથરવામાં આવી રહી છે, જેથી તેને રામલીલા જેવા આયોજન માટે કાયમી સ્થળ બનાવી શકાય. હાઇકોર્ટે એ પણ કહ્યું હતું કે, સ્કૂલના મુખ્ય દ્વારનું નામ બદલીને ‘સીતા રામ દ્વાર’ કરી દેવામાં આવ્યું છે અને ઝૂલા લગાવી દીધા છે, જેનાથી અભ્યાસ પ્રભાવિત થઈ શકે છે અને બાળકોને રમતના મેદાનથી વંચિત થવું પડી શકે છે. હાઇકોર્ટના આ આદેશ સામે શ્રીનગર રામલીલા મહોત્સવ સમિતિ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
આ પણ વાંચોઃ ‘કારગિલ વખતે પણ આપણે પાક. સાથે હાથ મિલાવ્યા હતા…’ થરૂરની ભારતીય ટીમને સલાહ
સુપ્રીમ કોર્ટના આદેશમાં શું હતી શરત?
જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ઉજ્જવલ ભુયાન એન, કોટિશ્વર સિંહની ખંડપીઠે રામલીલા આયોજન સમિતિની અરજી પર ગુરૂવારે સુનાવણી કરતા હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ‘ઉત્સવ શરૂ થઈ ચુક્યો છે, તેથી હાઇકોર્ટના આદેશના ફકરા નં. 11 પર રોક લગાવવામાં આવે છે. વળી, આ શરત સાથે ઉત્સવ શરૂ રહેશે. બાળકોની રમત શરૂ રહેશે. અમે હાઇકોર્ટને વિનંતી કરીએ છીએ અને અન્ય તમામ હિતધારકોની વાત સાંભળે.’
રાજ્યના અધિકારીઓએ રામલીલા કાર્યક્રમનો બચાવ કરતા દલીલ કરી હતી કે, તે છેલ્લા 100 વર્ષથી ત્યાં યોજાઈ રહ્યો છે અને તે દરરોજ રાત્રે 7 થી 10 વાગ્યા સુધી ચાલે છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે પાણી ભરાવાના મુદ્દાને ઉકેલવા માટે ટાઇલ્સ નાખવામાં આવી હતી. હાઈકોર્ટ આ દલીલો સાથે અસંમત હતી અને કાર્યક્રમ માટે શાળાના મેદાનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.










