![]()
Rahul Gandhi On Supreme Court CJI Gavai: દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બીઆર ગવઈ પર આજે(6 ઓક્ટોબર) શર્મજનક હુમલો થયો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન સીજેઆઇ પર એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જૂતું ફેંકનારો શખસ 60 વર્ષીય વકીલ હતો. જેનું નામ રાકેશ કિશોર હોવાનું જાણવા મળ્યું છે. ચીફ જસ્ટિસ પર હુમલાના પ્રયાસ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું કે, ‘આ પ્રકારની ઘૃણાનું ભારતમાં સ્થાન નથી.’
ચીફ જસ્ટિસ પર હુમલાના પ્રયાસ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
ચીફ જસ્ટિસ બીઆર ગવઈ હુમલાના પ્રયાસની ઘટનાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ નિંદા કરી છે. સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ચીફ જસ્ટિસ પર હુમલો આપણી ન્યાયપાલિકાની ગરિમા અને આપણા બંધારણના મૂળ માવના પર હુમલો છે. આ પ્રકારની ઘૃણાનું ભારતમાં સ્થાન નથી અને આ ઘટનાની નિંદા થવી જોઈએ.’
સોનિયા ગાંધીએ આપી પ્રતિક્રિયા
આ મામલે સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ‘સુપ્રીમ કોર્ટની અંદર આદરણીય ચીફ જસ્ટિસ પર હુમલાની ઘટનામાં, આ ફક્ત તેમના પર હુમલો નથી થયો, પરંતુ આપણા બંધારણ પર પણ થયો છે. ચીફ જસ્ટિસે વિનમ્રતા દાખવી, પરંતુ દેશને ઊંડી પીડા અને આક્રોશની ભાવના સાથે એકજૂથ થઈને તેમની સાથે ઊભા રહેવું જોઈએ.’
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ, વકીલે નારા લગાવ્યા- સનાતનનું અપમાન સાંખી નહીં લેવાય
શું હતી સમગ્ર ઘટના?
ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જેનું નામ રાકેશ કિશોર હોવાનું જાણવા મળ્યું છે. શખ્સે ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર નિશાન સાધતા બેન્ચ તરફ જૂતું ફેંક્યું હતું. જે બેન્ચની આગળ જ પડ્યું હતું. જેથી ચીફ જસ્ટિસને કોઈ નુકસાન થયુ નથી. હુમલાખોર વકીલની ધરપકડ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ આ ઘટના બાદ પણ શાંત જ હતા અને તેમણે કેસની સુનાવણી ચાલુ રાખી હતી. તેમણે માત્ર એટલું કહ્યું કે, ‘હું એવો વ્યક્તિ છું, જેણે આ પ્રકારની ઘટનાનો સામનો કર્યો છે.’ ત્યારબાદ તેઓ ફરી કેસની સુનાવણી કરવા લાગ્યા હતા. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, હુમલો કરનારા વકીલે સૂત્રોચ્ચાર કર્યો હતો કે, ‘સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન.’










