![]()
India Venezuela Oil Relations : આજથી 58 વર્ષ પહેલાં એટલે કે 10 ઓક્ટોબર 1968ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ વેનેઝુએલાની રાજધાની કરાકસની માત્ર 18 કલાકની ઐતિહાસિક યાત્રા કરી હતી. ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે, વર્ષો પહેલાં રોપાયેલા આ સંબંધોના બીજ ભવિષ્યમાં ભારતની ઉર્જા સુરક્ષા માટે ‘વટવૃક્ષ’ સાબિત થશે. હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ જળમાર્ગની નાકાબંધીને કારણે વૈશ્વિક સ્તરે તેલ સપ્લાય અટકી પડ્યો છે. આ સંકટ વચ્ચે પણ ભારતને જરૂરીયાત મુજબનું ઓઈલ મળી રહે તે માટે દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર ધરાવતો દેશ વેનેઝુએલા હવે ભારતનો મોટો સહારો બનવાનો છે.
વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિનો 5 દિવસનો ભારત પ્રવાસ
વાસ્તવમાં, વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ (Venezuela PM Delcy Rodriguez) ત્રણથી સાત જૂન સુધી ભારતના પાંચ દિવસના પ્રવાસે આવ્યા છે. ભારત સરકારે તેમને સત્તાવાર રીતે ‘એક્ટિંગ પ્રેસિડેન્ટ’ તરીકે માન્યતા આપી છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે ઉર્જા, વેપાર અને રોકાણ જેવા મહત્વના મુદ્દાઓ પર બેઠક કરશે. તેમની સાથે વિદેશ, નાણાં અને પરિવહન મંત્રાલયના વરિષ્ઠ મંત્રીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.
આ પણ વાંચો : ‘બળવા’ વચ્ચે મમતા બેનર્જીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ
અગાઉ ભારતનો મુખ્ય તેલ સપ્લાયર દેશ હતો વેનેઝુએલા
એક સમય વેનેઝુએલા ભારતનો મુખ્ય તેલ સપ્લાયર દેશ હતો. વર્ષ 2019માં તે ભારતનો પાંચમો સૌથી મોટો તેલ સપ્લાયર હતો. તે સમયે ભારતે વેનેઝુએલા પાસેથી લગભગ 1.6 કરોડ ટન કાચું તેલ આયાત કર્યું હતું. ત્યારે બંને દેશો વચ્ચેનો વેપાર 6.4 અબજ ડૉલર સુધી પહોંચી ગયો હતો, જેમાં મોટાભાગનો હિસ્સો તેલની આયાતનો જ હતો.
ભારત માટે કેમ જરૂરી બન્યું વેનેઝુએલા?
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા કાચું તેલ વિદેશથી આયાત કરે છે અને તે દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. હાલમાં મિડલ ઈસ્ટના યુદ્ધ અને રશિયા પરના અમેરિકી પ્રતિબંધોને કારણે ભારત તેલ પુરવઠા માટે વૈકલ્પિક દેશોની શોધ કરી રહ્યો છે. વેનેઝુએલા પાસે સાઉદી અરેબિયા અને ઈરાન કરતાં પણ વધુ તેલનો ભંડાર છે. વર્ષ 2019માં વેનેઝુએલા ભારતનો પાંચમો સૌથી મોટો તેલ સપ્લાયર દેશ હતો. આ સંકટના સમયે વેનેઝુએલા સાથેના સંબંધો મજબૂત કરવા એ ભારતની વ્યૂહાત્મક અને આર્થિક જરૂરિયાત બની ગઈ છે.
આ પણ વાંચો : 3 દિવસથી ઘરમાં બંધ હતા એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ! કરોડોની સંપત્તિના હતા માલિક, તપાસ શરૂ










