![]()
US Iran Conflict 2026: અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધનો તાત્કાલિક અંત આવશે તેવી આશાઓ પર હાલ પૂરતું પાણી ફરી વળ્યું છે. ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી (સેક્રેટરી ઑફ સ્ટેટ) માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન સાથે કરાર સુધી પહોંચવામાં હજુ થોડા દિવસોનો સમય લાગી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેના એક જ દિવસ પહેલાં અમેરિકી દળોએ દક્ષિણ ઈરાનમાં રક્ષણાત્મક હવાઈ હુમલા કર્યા હતા.
હોર્મુઝની ખાડી કોઈપણ ભોગે ખુલ્લી રહેશે
જયપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા માર્કો રુબિયોએ હોર્મુઝની ખાડી અંગે અત્યંત આકરો મિજાજ દેખાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ દરિયાઈ માર્ગ કોઈપણ ભોગે ખુલ્લો રાખવામાં આવશે, ગમે તે રીતે તેને ચાલુ રાખવો જ પડશે. અગાઉ નવી દિલ્હીમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકા ઈરાન સામે અન્ય કોઈ રસ્તો અપનાવતા પહેલાં રાજદ્વારી પ્રયાસોને પૂરી તક આપવા માંગે છે. હાલમાં ટેબલ પર હોર્મુઝ રૂટ ફરી ખોલવા અને ઈરાનના પરમાણુ મુદ્દાઓ પર સમયબદ્ધ વાટાઘાટોનો પ્રસ્તાવ રહેલો છે.
એકતરફ દોહામાં શાંતિ વાટાઘાટો, બીજીતરફ સૈન્ય પ્રહારો
ઈરાનના મુખ્ય વાર્તાકાર અને વિદેશ મંત્રી હાલમાં કતારના વડાપ્રધાન સાથે દોહામાં યુએસ સાથેની સંભવિત ડીલ અંગે ચર્ચા કરી રહ્યા છે. આ ડીલના ભાગરૂપે ઈરાનના ફ્રીઝ થયેલા ફંડને મુક્ત કરવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, આ શાંતિ વાટાઘાટો વચ્ચે પણ સરહદ પર તણાવ ઓછો થયો નથી. એપ્રિલની શરૂઆતથી સીઝફાયર અમલમાં હોવા છતાં, યુએસ સેન્ટ્રલ કમાન્ડે સોમવારે ઈરાની દળોના ખતરા સામે પોતાના સૈનિકોની રક્ષા કરવા માટે નવા હુમલા કર્યા હોવાનું સ્વીકાર્યું છે.
આ પણ વાંચો : 2.3 કરોડની વસતી ધરાવતા તાઇવાને શેરબજારમાં ભારતને કેવી રીતે પછાડ્યું? જાણો અસલી કારણ
ઈરાને પણ ડ્રોન તોડ્યાનો દાવો કર્યો
ઈરાનની ન્યૂઝ એજન્સીઓએ દાવો કર્યો છે કે, તેમણે નવી એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને એક દુશ્મન ડ્રોનને તોડી પાડ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઈરાન સાથેની વાતચીત સારી ચાલી રહી છે, પરંતુ જો તે નિષ્ફળ જશે તો નવા હુમલા કરવામાં આવશે. કાં તો આ બધા માટે એક ગ્રેટ ડીલ હશે અથવા કોઈ ડીલ નહીં થાય.
વૈશ્વિક અર્થતંત્ર પર ભારે અસરો
28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ આ સંઘર્ષ શરૂ થયો હતો. હોર્મુઝની ખાડીમાંથી વિશ્વનો લગભગ પાંચમો ભાગનો તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પસાર થાય છે. પહેલાં આ રૂટ પરથી દરરોજ 125થી 140 જહાજો પસાર થતા હતા, જે અત્યારે ઘટીને માત્ર થોડા ડઝન જ રહી ગયા છે. આ ગતિરોધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે અને બળતણ, ખાતર તેમજ અનાજની કિંમતોમાં તોતિંગ વધારો થયો છે.
કરાર થાય તો 30 દિવસમાં માર્ગ ખુલશે
જાપાની મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે જો કરાર થઈ જાય, તો તેના અંદાજે ૩૦ દિવસ પછી આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગને સામાન્ય જહાજો માટે ફરીથી ખોલી દેવાની યોજના પર ચર્ચા ચાલી રહી છે.










