![]()
– કાળુભાર નદીના પટના ઉત્તર-દક્ષિણ છેડાને જોડતો પૂલ 1958 માં બંધાયો હતો
– સત્વરે સમારકામ નહિ થાય તો પુલને નુકશાન થવાની ભીતિ, જાગૃત નાગરીકોમાં તંત્રની કાર્યપધ્ધતિની ટીકા
ઉમરાળા : ઉમરાળાની કાળુભાર નદીના પટના ઉત્તર-દક્ષિણ છેડાને જોડતો પૂલ ૧૯૫૮માં બંધાયો હતો. છેલ્લા અઢી દાયકાથી સમયાંતરે યોગ્ય મરામતના અભાવે પૂલના બંને છેડે આવેલ પ્રોટેક્શન વોલ હાલ જર્જરિત હાલતમાં છે અને તેમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ છે.જો એ પ્રોટેક્શન વોલ તૂટી પડે તો સ્થાનિકો પર ખતરો ઉભો થાય તેમ છે અને પૂલ તૂટે તો કલ્પનાતીત દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે.
આજથી બે વર્ષ અગાઉ પૂલ નીચે નદીના પટમાંથી રેતીના થર ઉખડી જવાના કારણે પિલર્સને અને પૂલના સ્લેબ તથા બીમના પ્લાસ્ટરમાં ગાબડાં પડવાથી સળિયા બહાર દેખાવા લાગવાથી સ્લેબને નૂકસાન થઈ રહેલ છે. આ ઉપરાંત પૂલની ઉપરના તળિયામાં તથા બંને બાજુની પેરાપીટમાં ગાબડાં પડયાની ફરિયાદો ઉઠયા પછી તંત્રએ એકાદ વર્ષ અગાઉ સમારકામ કરાવ્યું હતુ.આ ઉપરાંત એક બિનજરૂરી કામ એટલે કે, પૂલના બંને છેડે સીડી બનાવવાનું કામ. આ બે સીડીઓ સાવ બિનઉપયોગી છે. આવા બિનઉપયોગી બાંધકામ પાછળ ખોટો ખર્ચ કરવાના બદલે તંત્રએ જો જર્જરિત પ્રોટેક્શન વોલ રિપેર કરવા પાછળ ખર્ચ કર્યો હોત તો પ્રોટેક્શન વોલમાં ગાબડાં પડવાની નોબત આવી છે તે ન આવી હોત. પ્રોટેક્શન વોલમાં ગાબડાં ઉપરાંત પૂલના બંને છેડે બહારના ભાગે શોના બે બે પીલર જેતે વખતે બનેલા તે પૈકી ઉમરાળા તરફના પૂલના છેડાનો એક પીલર સમૂળગો તૂટીને નદીના પાણીમાં પડયો છે.આ પીલર પર પૂલ બંધાયાનું વર્ષ ૧૯૫૮ અંકિત કરેલ આરસની તક્તિ લગાડેલ હતી તેણે પણ પીલર સાથે જળ સમાધિ લીધી છે.જવાબદાર તંત્રને આ ખતરો દેખાતો ન હોય તેમ હજુ સુધી જર્જરિત પ્રોટેક્શન વોલની મરામત તરફ લક્ષ આપતુ ન હોય જાગૃત નાગરીકોમાં આ ગંભીર હકિકત ટીકાને પાત્ર બનેલ છે.










