– લગ્નગાળામાં ભારે ધસારા વચ્ચે જ દેશભરના એરપોર્ટ પર અંધાધૂંધી સર્જાઈ

– વિવિધ એરલાઈન્સે મેન્યુઅલ ચેકઈન સિસ્ટમ શરૂ કરી ઈન્ડિગો, સ્પાઈસજેટ, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ્સને અસર : ચેક ઈન સિસ્ટમમાં ગરબડનાં બહાનાં, જોકે ઈન્ડિગો સ્ટાફ શોર્ટેજ નડી
નવી દિલ્હી : ભારતના મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, અમદાવાદ સહિત સંખ્યાબંધ એરપોર્ટ્સ પર અંધાંધૂધી સર્જાઈ હતી. ચેક ઈન સિસ્ટમમાં ખામી ઉપરાંત ઈન્ડિગોમાં સ્ટાફની શોર્ટેજથી સંખ્યાબંધ ફલાઈટ્સ રદ કરવી પડી હતી અથવા તો મોડી પ ડી હતી. સંતપ્ત પ્રવાસીઓને જવાબ આપવા કે ચેક ઈન સહિતિની કામગીરી હાથ ધરવા માટે મુંબઈ ,સહિતના એરપોર્ટના એરલાઈન્સના કાઉન્ટર પર કોઈ સ્ટાફ પણ મોજુદ ન હતો. . હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે તેવા સમયે જ દેશભરમાં ૨૦૦થી વધુ ફલાઈટ રદ થતાં તથા બીજી કેટલીય ફલાઈટ્સ કલાકો સુધી મોડી પડતાં અસંખ્ય વિમાન પ્રવાસીઓ રઝળી પડયા હતા. એરપોર્ટસ પર પ્રવાસીઓની ભીડનાં દ્રશ્યો સર્જાયાં હતાં. સિસ્ટમ ખોરવાતા એરલાઈન્સ કંપનીઓએ મેન્યુઅલ ચેકઈન અને બોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરી હતી.
ઈન્ડિગો, સ્પાઈસજેટ, અકાસાએર અને એર ઈન્ડિયા એક્સપ્રેસની સેવાઓને અસર થઈ હતી. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે બુધવારે સવારે ૭.૪૦ કલાક એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે કેટલીક ડોમેસ્ટિક એરલાઈન્સના કામકાજમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. આથી સમયપત્રક બદલાઈ શકે છે અથવા વિલંબ થઈ શકે છે.
વારાણસી એરપોર્ટ પર પ્રવાસીઓ માટે એક મેસેજ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં કોઈ ખામી સર્જાઈ છે. તેવું કહેવાયું હતું. જો કે માઈક્રોસોફ્ટ કંપનીએ આ નિવેદનને હકકીતથી વેગળુ જણાવ્યું હતું. વારાણસી એરપોર્ટ પરના મેસેજમાં લખાયું હતું કે ંમાઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં વિશ્વ સ્તરે સર્વિસમાં વિક્ષેપ સર્જાયો છે. એરપોર્ટ્સ પર આઈટી સર્વિસિસ/ચેકઈન સિસ્ટમ્સને અસર પડી છે.
માઈક્રોસોફ્ટે વિન્ડોઝમાં કોઈ ક્ષતિ આવી હોવાન ઈન્કાર કર્યો હતો. માઈક્રોસોફ્ટે કહ્યું હતું કે આ વાત હકીકતથી વેગળી છે. વિન્ડોઝમાં કોઈ ખામી સર્જાઈ નથી.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગોની, સંખ્યાબંધ ફ્લાઈટ્સ ખોરવાતા પ્રવાસીઓમાં ભારે ગૂંચવાડો સર્જાયો હતો. મુંબઈ એરપોર્ટ પર ૧૬ ડિપાચર્સ અને એરાઈવલ્સ મળીને કુલ ૩૨ ફ્લાઈટ્સ રદ થઈ હતી. દેશના વિવિધ એરપોર્ટ્સ પર ઈન્ડિગોએ કુલ ૭૦ ફ્લાઈટ્સ રદ્દ કરી હતી. જેમાં દિલ્હી એરપોર્ટ પરથી ૩૮ ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. ઈન્ડિગો એરલાઈન્સે એક નિવેદનમાં બહાર પાડયું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે ટેકનોલોજિક્લ ખામી, શિયાળાની ઋતુના હિસાબે સમયપત્રકમાં ફેરફેરો, પ્રતિકૂળ હવામાન, એવિયેશન સિસ્ટમમાં વધેલુ કન્જેશન કર્મચારીઓના રોસ્ટર સંબંધી નિયમો (ફ્લાઈટ ડયુટીનો સમય)માં બદલાવ વિગેરે સંખ્યાબંધ કારણેથી એરલાઈન્સની કામગીરી ખોરવાઈ હતી. સમયપત્રકમાં ફેરફારો કરાયા છે. ૪૮ કલાક સુધી અમલમાં રહેશે અને ટુંક સમયમાં નિયમિત સેવાઓ ફરી પાછી આપી શકીશું. અસરગ્રસ્ત પ્રવાસીઓને વૈકલ્પિક પ્રવાસ વ્યવસ્થા અથવા રિફંડની ઓફર આપવામાં આવી છે.
એરઈન્ડિયા અને અન્ય એરલાઈન્સની ચેકઈન સિસ્ટમ્સ ખોરવાતા મંગળવારે સાંજે ઘણી ફ્લાઈટમાં વિલંબ થયો હતો.
દરમ્યાન એક સ્ત્રોતે કહ્યું હતું કે ”એફટીડીએલ (ફ્લાઈટ ડયુટી ટાઈમ લિમિટેશન્સ)ના બીજા તબક્કાના નવા ધારાધોરણો અમલમાં આવ્યા તે પછી ઈન્ડિગોમાં કર્મચારીઓની અછત ચાલી રહી છે. જેનાથી દેશના વિવિધ એરપોર્ટસ પરથી સંખ્યાબંધ ફ્લાઈટ મોડી પડી છે અથવા રદ્દ કરવી પડી છે. સ્ત્રોતે કહ્યું કે મંગળવારે સાંજે પરિસ્થિતિ વિકટ હતી.
જે બધુવારે વધુ ગંભીર બની હતી અને વિવિધ એરપોર્ટ્સ પરથી કેટલીક ફ્લાઈટ્સ રદ્દ થઈ હતી અથવા વિલંબ થયો હતો.
મંગળવારે ઈન્ડિગોનો ૬ મહત્વના ડોમેસ્ટિક એરપોર્ટ્સ પરનો ઓન-ટાઈમ પર્ફોમેન્સ ઘટીને ૩૫ ટકા થયો હતો. જ્યારે એરઈન્ડિયાનો ૬૭.૨ ટકા એરઈન્ડિયા એક્સપ્રેસનો ૭૯.૫ ટકા, સ્પાઈસ જેટનો ૮૨.૫૦ ટકા અને આકાસા એરનો ૭૩.૨૦ ટકા થયો હતો. તેવું સિવિલ એવિયેશન મંત્રાલયની વેબસાઈટ પરથી જાણી શકાયું હતું.
નવા એફટીડીએલ ધારાધોરણો અનુસાર સપ્તાહના આરામના કલાકોવધીને ૪૮ થયા છે અને રાતે ઉતરાણ કરાવવાની સંખ્યા અગાઉ છ હતી જે ઘટીને બે થઈ હતી. નવા ધારાધોરણો માર્ચ ૨૦૨૪થી અમલમાં મૂકવાના હતા પણ ઈન્ડિગો સહિતની વિમાની કંપનીઓએ નિયમો ક્રમશઃ અમલમાં મૂકવાની વિનંતી કરી હતી અને તે માટે વધારાના કર્મચારીઓની જરૂર પડશે તે કારણ આગળ ધર્યું હતું.
ઈન્ડિગો હાલમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટ્સ મળીને લગભગ ૨૧૦૦ ફ્લાઈટ્સનું સંચાલન કરે છે જેમાંથી ઘણી નાઈટ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
દરમ્યાન ઈન્ડિગોની હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (આરજીઆઈએ) પરથી ૧૩ ફ્લાઈટ્સ રદ્દ કરાઈ હતી. વિવિધ એરપોર્ટ્સથી હૈદ્રાબાદ આવતી ૧૮ ફ્લાઈટ્સ પણ રદ્દ કરાઈ હતી. મંગળવારે નવ ફ્લાઈટ્સ રદ્દ કરાઈ હતી.










